સુરેન્દ્રનગરના સાયલાના વાંટાવચ્છ ગામમાં આપની ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોના વિવિધ પ્રશ્નનો મુદ્દે સરકારને ઘેરી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, પંજાબમાં પૂર આવ્યું તો પંજાબ સરકારે એક મહિનામાં જ ખેડૂતોના ખાતામાં 50-50 હજાર જમા કરાવ્યા પરંતું અહીની સરકાર માત્ર સર્વે કરીને સંતોષ માને છે. ખેડૂતોની આશા પર આ સરકાર પાણી ફેરવી રહી છે. આજથી 35 વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતોને ગોળીઓ મારી હતી અને એ કોંગ્રેસ જેમ ગાયબ થઇ ગઇ એમ તમે પણ ગાયબ થઇ જશો.
વધુમાં જણાવ્યું કે, ખેડૂતોએ 30 વર્ષ વોટ આપીને ભાજપને જીતાડી અને એમણે જ આ ખેડૂતોની દિવાળી બગાડી. ભાજપની સરકાર પોલીસને આગળ કરે છે, હું સરકારને કહેવા માંગુ છું કે, એક દિવસ તમે પોલીસને આગળ ન કરો અને પછી જુઓ તમે આ ખેડૂતો તમને દોડાવી-દોડાવીને મારશે. ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો તો પોલીસે ઘરમાં ઘૂસીને નાના બાળકોને પણ માર માર્યો.
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારે પોતાના હક માટે લડતા ખેડૂતોને જેલમાં ધકેલી દીધા. અમે આજે એમના પરિવારજનોએ આજે બોલાવ્યા અને આજે અમે એમનું સન્માન કરવાના હતા પરંતું આ તનાશાહ સરકારની પોલીસે એવું ન થવા દીધું અને એમને સ્ટેજ સુધી ન આવવા દીધા. હું પીડિત પરિવારો સાથે છું. એક-એક ખેડૂતને અમે જેલમાંથી બહાર કાઢીશું, મોટામાં મોટા વકીલો રોકીને પણ પોતાના હક માટે લડતા ખેડૂતોને જેલમાંથી બહાર લાવીશું.