ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન માને છે કે એઆઈ વધુને વધુ ખતરનાક બની રહ્યું છે. તેમણે કહ્યું કે આ ખતરો કોઈ એક ઉત્પાદન કે સુવિધામાં નથી, પરંતુ નવી અને અદ્યતન સિસ્ટમો જે ગતિથી ઉભરી રહી છે તેમાં રહેલો છે. ઓલ્ટમેને કહ્યું કે સુરક્ષા પગલાં લાગુ થાય તે પહેલાં નવી સિસ્ટમો ઉભરી આવે છે. એ નોંધનીય છે કે ઓલ્ટમેનની કંપનીએ લગભગ ત્રણ વર્ષ પહેલાં ચેટજીપીટી લોન્ચ કર્યું હતું, જેના કારણે દરેક ઘરમાં જનરેટિવ એઆઈ આવ્યું છે.
ઓલ્ટમેને કહ્યું કે એઆઈ મોડેલ્સની તર્ક, કોડ અને ઇન્ફોર્મેશનનું એનાલીસીસ કરવાની ક્ષમતામાં સુધારો થયો છે. આનાથી નવા પડકારો પણ ઉભા થયા છે. તેમણે કહ્યું કે એઆઈ સિસ્ટમ્સ હવે સુરક્ષા નબળાઈઓને ઓળખી શકે છે અને વર્તનને પ્રભાવિત કરી શકે છે, અને તેનો ઘણી રીતે દુરુપયોગ પણ થઈ શકે છે. હવે જ્યારે એઆઈ મોડેલ્સ વધુ સ્વાયત્ત અને સુલભ બન્યા છે, ત્યારે દુરુપયોગનું જોખમ વધ્યું છે. ઓલ્ટમેને ચેતવણી આપી હતી કે જ્યારે એઆઈનો ઉપયોગ સાયબર સુરક્ષા માટે થઈ શકે છે, ત્યારે તે જ સાધનોનો ઉપયોગ હુમલાખોરો દ્વારા પણ થઈ શકે છે. હુમલાખોરો અને બચાવકર્તા બંને દ્વારા એક સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવો દુર્લભ છે.
ટેકનિકલ જોખમો ઉપરાંત, ઓલ્ટમેનેએ પણ સ્વીકાર્યું કે યુઝર્સના માનસિક સ્વાસ્થ્ય અને સમાજ પર એઆઈની સંભવિત અસરો છે. એઆઈ સિસ્ટમો સામે અસંખ્ય આરોપો લાગ્યા છે, જેમાં હાનિકારક સલાહ આપતી સિસ્ટમોનો પણ સમાવેશ થાય છે. ઓલ્ટમેને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉદ્યોગ હજુ પણ નાનો છે અને આ જોખમોને જવાબદારીપૂર્વક કેવી રીતે સંબોધવા તે શીખી રહ્યો છે.