જામનગર શહેરની ભાગોળે વહેલી સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે અડાલજની ટુરીસ્ટ બસ અને ઓકસીજન ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો, સદનશીબે જાનહાની ટળી હતી દરમ્યાનમાં બનાવની જાણ થતા ફાયર અને પોલીસ સહિતની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી, અકસ્માતના કારણે ભારે દેકારો બોલી ગયો હતો અને અફડાતફડી જેવો માહોલ જોવા મળ્યો હતો જો કે મુસાફરોનો આબાદ બચાવ થતા થોડા સમયના દેકારા બાદ રાહતની લાગણી પ્રસરી હતી.
અડાલજથી એક ટુરીસ્ટ બસ જામનગર બાજુ આવી રહી હતી ત્યારે વહેલી સવારના ખીજડીયા બાયપાસ પાસે પહોચતા એક ઓકસીજન ભરેલા ટેન્કર સામ સામે એકસીડન્ટ થયુ હતું, અકસ્માતના કારણે બસ રોડની નીચે સાઇડમાં ઉતરી ગઇ હતી, આ બસની અંદર ૩૬ પેસેન્જર ભરેલા હતા, સદનશીબે મોટી દુર્ઘટના ટળી હતી, કોઇ જાનહાની કે ઇજાગ્રસ્ત થયેલ નથી, દરમ્યાનમાં પેસેન્જરો સુરક્ષીત રીતે બહાર નીકળી ગયા હતા.
બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ સ્થળ પર દોડી ગઇ હતી, દરમ્યાન પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે પહોચી હતી અને પ્રાથમિક કાર્યવાહી કરી હતી, પ્રવાસી બસ અરવિંદભાઇની માલિકીની હોવાનુ અને બસ નં. જીજે૩એઝેડ-૦૬૪૨ તથા ટેન્કરના માલીક વિપુલભાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું.
વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે છેલ્લા બે દિવસથી વાહનચાલકો પરેશાની વેઢી રહયા છે, બે દિવસ દરમ્યાન હાઇવે પર નાના મોટા અકસ્માતના બનાવો ધુમ્મસના કારણે બન્યા હતા, દરમ્યાનમાં આજે વહેલી સવારે જામનગરની ભાગોળે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા દોડધામ મચી હતી જો કે સદનશીબે દુર્ઘટના ટળતા તપાસ ટુકડી તેમજ મુસાફરો સહિતનાઓએ રાહતની લાગણી અનુભવી હતી.