BREAKING NEWS

ભાણવડ એ.પી.એમ.સી ખાતે જિલ્લા કક્ષાના "કૃષિ વિકાસ દિન" તથા "રવિ કૃષિ મહોત્સવ"ની ઉજવણી કરાઈ

  • October 14, 2025 04:33 PM 

જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરની પ્રેરક ઉપસ્થિતિ

કૃષિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કરાયા લાભાન્વિત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણદાયી જનસેવાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિતે સમગ્ર રાજ્યમાં તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ તા.૧૪ ઓક્ટોબરને "કૃષિ વિકાસ દિન" તરીકે ઉજવવામાં આવ્યો છે જેના ઉપલક્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ.પી.એમ.સી ભાણવડ ખાતે યોજાયો હતો. 


આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, ધરતીપુત્રો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. આધુનિક સમયમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યા છે ત્યારે બદલાતા સમયમાં કૃષિ પધ્ધતિઓમા પણ પરિવર્તન લાવવું ખૂબ જ આવશ્યક બન્યું છે. હાલના સમયમાં કલાઈમેટ ચેન્જની અસર કૃષિ પર જોવા મળી રહી છે. જેના માટે જળસંચયની કામગીરી કરવી ખૂબ જ જરૂરી બનશે તે ભવિષ્યમાં પણ લાભદાયી નીવડશે તેમ કહ્યું હતું. 


આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરે જણાવ્યું હતું કે, આજથી બે દાયકા પૂર્વે શરૂ થયેલ કૃષિ મહોત્સવ ધરતીપુત્રો માટે ખૂબ લાભદાયી સાબિત થયો છે. સરકારની કૃષિ ક્ષેત્રની વિવિધ યોજનાનો માહિતી જન જન સુધી પહોચતા કૃષિ ક્ષેત્રે પણ પરિવર્તન આવ્યું છે. આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી કૃષિ પણ આધુનિક બની છે જેના પરિણામે સમયની બચત અને આર્થિક ઉપાર્જન વધ્યું છે. હાલના સમયમાં કલાઈમેટ ચેન્જ અસરો વર્તાઈ રહી છે ત્યારે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જરૂરી બની છે. કહેવત છે કે "પહેલું સુખ તે જાતે નર્યા" ખરા અર્થમાં સાર્થક કરવી હોય તો પ્રાકૃતિક કૃષિ અપનાવી તેના દ્વારા ઉત્પાદિત અનાજ ગ્રહણ કરવું પડશે. મારો સૌ ખેડૂતોને આગ્રહ છે કે પ્રાકૃતિક કૃષિ અપનાવો તથા કૃષિ વિભાગની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવો. 


આ તકે અગ્રણી પી.એસ.જાડેજાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી જનસેવાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોને પરિણામે ગુજરાત સમગ્ર વિશ્વ ફલક પર અંકિત થઈ ગયું છે. જેના ભાગરૂપે આજરોજ આપણે રવિ કૃષિ દિનની ઉજવણી કરી રહ્યા છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતહિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક યોજનાઓ ખૂબ જ ઉપયોગી નીવડી છે. ઉપરાંત ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આવી અનેક યોજનાઓ સરકાર દ્વારા ખેડૂતો માટે કાર્યરત છે જેનો મહત્તમ લાભ લેવા માટે સૌ ધરતીપુત્રોને અનુરોધ છે. 


જિલ્લા કલેકટર રાજેશ તન્ના સહિતના મહાનુભાવોના હસ્તે ખેડૂત અકસ્માત વીમા યોજના, ફાર્મ મિકેનાઈઝેશન, એ.જી.આર ૫૦ સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
 

ઉપરાંત, ખેતીવાડી, આત્મા, બાગાયત, પશુપાલન, આરોગ્ય સહિત અંદાજિત ૧૬ જેટલા વિવિધ પ્રદર્શન સ્ટીલની ખેડૂતોએ મુલાકાત લીધી હતી. તેમજ કૃષિ વૈજ્ઞાનિક બારૈયા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવો સહિતના ઉપસ્થિતોએ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. 


 
કાર્યકમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન.ડઢાણીયા તથા આભારવિધિ નાયબ બાગાયત નિયામક લશ્કરી દ્વારા કરવામાં આવી હતી. 

​​​​​​​

કાર્યક્રમમાં ભાણવડ નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, અગ્રણી સર્વે સાજણભાઈ રાવલીયા, હમીરભાઇ કનારા, ગોવિંદભાઈ કનારા, અજયભાઈ કારાવદરા, અલ્પેશભાઈ પાથર, ભાલચંદ્રભાઈ ભટ્ટ, મોહનભાઈ  ગોરફાડ, ઇન્ચાર્જ મામલતદાર જલ્પેશ બાબરીયા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ.બેડીયાવદરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application