અમદાવાદ વિમાન દુર્ઘટના: 39 મૃતદેહો DNA મેચ થયા બાદ પરિવારોને સુપરત કરવાનું શરૂ, હજુ 13ના સેમ્પલ લેવાના બાકી

  • June 14, 2025 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં તાજેતરમાં બનેલી કરુણ વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોને ઓળખી કાઢવાની પ્રક્રિયા વેગવંતી બની છે. આજે 1200 બેડ હોસ્પિટલ સામે આવેલા પોસ્ટમોર્ટમ રૂમમાંથી DNA મેચ થયા બાદ મૃતદેહોને તેમના પરિવારોને સોંપવાનું શરૂ કરવામાં આવ્યું છે.


પ્રાથમિક તબક્કે 39 મૃતદેહોના DNA રિપોર્ટ તેમના પરિજનોના DNA સાથે મેચ થઈ ગયા છે. આ પરિવારોને 5-5 ના જૂથમાં બોલાવીને મૃતદેહો સુપરત કરવામાં આવી રહ્યા છે. મૃતદેહની સાથે ડેથ સર્ટિફિકેટ અને DNA રિપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે, જેથી કાયદાકીય પ્રક્રિયા સરળ બને. તબક્કાવાર રીતે અન્ય રિપોર્ટ્સ આવતા જ બાકીના મૃતદેહો સોંપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.


આ કામગીરી દરમિયાન રાજ્યના મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પોસ્ટમોર્ટમ રૂમ પર ઉપસ્થિત રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને પીડિત પરિવારોને સાંત્વના આપી રહ્યા છે.


​​​​​​​વિમાન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 324 DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં મૃતદેહો અને બોડી પાર્ટ્સના સેમ્પલનો સમાવેશ થાય છે. કેટલાક બ્રિટિશ નાગરિકોના પરિજનો જેઓ ભારત આવી શક્યા નથી, તેમના બ્લડ સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. તેવી જ રીતે, એર ઇન્ડિયાના ઉત્તર-પૂર્વીય રાજ્યોના કેટલાક પરિવારજનોના બ્લડ સેમ્પલ પણ મંગાવવામાં આવ્યા છે.

હજુ પણ 9 વિદેશી મુસાફરોના પરિવારો અને 4 ભારતીય નાગરિકોના સેમ્પલ લેવાના બાકી છે. DNA રિપોર્ટ સામાન્ય રીતે 72 કલાકમાં સામે આવે છે. અન્ય મૃતકોના પરિજનોએ સેમ્પલ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ પ્રક્રિયા પૂરી થતાની સાથે જ બાકીના મૃતદેહોની ઓળખ કરી શકાશે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો માટે આ અત્યંત દુઃખદ અને કપરો સમય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application