ગુજરાતમાં શિયાળો શરૂ થતાં જ હવાની ગુણવત્તામાં આવેલા ઘટાડાએ લોકોના આરોગ્ય પર ગંભીર અસર કરી છે. રાજ્યમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે સામાન્ય લાગતા શરદી-ઉધરસ જેવા રોગો હવે વધુ ગંભીર અને લાંબા સમય સુધી ચાલતા બની રહ્યા છે. પરિણામે શ્વસન માર્ગના રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
દવાઓના વેચાણના આંકડા પણ આ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ફાર્મારૅકના ડેટા મુજબ ડિસેમ્બર 2024માં રૂ. 69 કરોડ રહેલું શ્વસન સંબંધિત દવાઓનું વેચાણ ડિસેમ્બર 2025માં વધીને રૂ. 76 કરોડ થયું છે, એટલે કે લગભગ 11 ટકાનો વધારો. તે જ રીતે એન્ટી-ઇન્ફેક્ટિવ દવાઓ જેમાં એન્ટિબાયોટિક્સ અને એન્ટી-વાયરલ્સનો સમાવેશ થાય છે. જેનું વેચાણ રૂ. 90 કરોડથી વધીને રૂ. 102 કરોડ થયું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ વધારો મુખ્યત્વે પ્રદૂષણથી પ્રેરિત એલર્જી અને શ્વસન ચેપને કારણે થયો છે.
ફાર્મારૅકની વાઇસ પ્રેસિડેન્ટ શીતલ સાપલે જણાવ્યું હતું કે એન્ટી-અસ્થમા અને સીઓપીડી થેરાપી, એન્ટિહિસ્ટામિન અને નાક સંબંધિત દવાઓની માંગમાં ખાસ વધારો થયો છે. શિયાળામાં સામાન્ય રીતે દવાઓની માંગ વધે છે, પરંતુ આ વર્ષે અનેક રાજ્યોમાં ઊંચા પ્રદૂષણ સ્તરે આ માંગને અસામાન્ય રીતે વધારી છે, જેના કારણે શ્વસન સેગમેન્ટમાં સતત ડબલ-ડિજિટ વૃદ્ધિ જોવા મળી રહી છે.
ઘણા દર્દીઓ માટે સામાન્ય મોસમી ચેપ હવે લાંબા સમય સુધી સાજા થતા નથી. પ્રોસ્ટેથેટિસ્ટ ડૉ. ચંદની કોરાટે જણાવ્યું કે બાંધકામના ધૂળકણ અને પ્રદૂષણને કારણે તેમની ઉધરસ વધે છે અને રાત્રે ગંભીર તકલીફ થાય છે, જેના કારણે ઊંઘ અને આરોગ્ય બંને પ્રભાવિત થાય છે.
પલ્મોનોલોજિસ્ટ ડૉ. તુષાર પટેલે જણાવ્યું કે છેલ્લા છ અઠવાડિયામાં ઘણા દર્દીઓમાં લક્ષણો બે અઠવાડિયા થી લઈને એક મહિના સુધી રહ્યા છે. તાપમાનમાં ઉતાર-ચઢાવ, વાયરસ અને ખરાબ હવાની ગુણવત્તા સાથે મળીને અસર કરી રહ્યા છે. તેમણે કહ્યું નારાયણા હોસ્પિટલની ડૉ. શાચી દવે અનુસાર આ સીઝનમાં શ્વસન સંબંધિત ઓપીડીમાં 30થી 35 ટકા સુધીનો વધારો નોંધાયો છે અને ઘણા દર્દીઓને નેબ્યુલાઇઝર અથવા ઇન્હેલર જરૂરી બની રહ્યા છે.