ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવ સાથેની વાતચીત દરમિયાન અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ અલ્બેનિયા-અઝરબૈજાન યુદ્ધવિરામના ડોનાલ્ડ ટ્રમ્પના ખોટા દાવા પર કટાક્ષ કર્યો હતો અને જાહેરમાં તેમની હાંસી ઉડાવી હતી.
ડેનમાર્કના કોપનહેગનમાં યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટીની મીટિંગમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી ભૂલ માટે અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ તેમની મજાક ઉડાવી અને વૈશ્વિક નેતાઓ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથેની વાતચીત દરમિયાન, એડી રામા કેમેરામાં અમેરિકન રાષ્ટ્રપતિની વિશ્વના નકશા અને ભૂગોળની સમજણ પર મજાક ઉડાવતા કેદ થયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતકાળમાં ઘણા પૂર્વી યુરોપિયન દેશો વચ્ચે તફાવત કરવામાં નિષ્ફળ રહ્યા છે. યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટીની મીટિંગ દરમિયાન કોઈએ અલ્બેનિયન વડા પ્રધાનની ફ્રેન્ચ અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિઓ સાથેની વાતચીત રેકોર્ડ કરી હતી, અને આ વિડિઓ ઝડપથી સમિટના ઉપસ્થિતોમાં ફરતો થયો હતો વીડિયોમાં, એડી રામા હસતાં હસતાં મેક્રોનને કહે છે, "તમારે અમારી માફી માંગવી જોઈએ કારણ કે તમે અલ્બેનિયા અને અઝરબૈજાન વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલ શાંતિ કરાર પર અમને અભિનંદન આપ્યા નથી. તેમની ટિપ્પણી મેક્રોન અને અલીયેવમાં હાસ્ય ફેલાવે છે, જે ત્રણ રાષ્ટ્રના વડાઓ વચ્ચે મજાકની આપ-લે સૂચવે છે. હકીકતમાં, રામાની મેક્રોન સાથેની વાતચીત સીધી ટ્રમ્પના ખોટા નિવેદનો સાથે સંબંધિત હતી, જે યુએસ રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય રહી છે.
ટ્રમ્પ વારંવાર વિશ્વના નકશા વિશે વારંવાર ભાંગરો વાટે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર અઝરબૈજાન અને અલ્બેનિયા વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય લઈ રહ્યા છે, જોકે અઝરબૈજાન ક્યારેય અલ્બેનિયા સાથે લડ્યું ન હતું. વાસ્તવિક સંઘર્ષ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે હતો. સપ્ટેમ્બર 2024 માં ફોક્સ ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે બીજા યુદ્ધનો અંત લાવવાનો શ્રેય લીધો, ભૂલથી આર્મેનિયાને બદલે અલ્બેનિયાનો ઉલ્લેખ કર્યો.
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર સાથેની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે તેમના વહીવટીતંત્રે અઝરબૈજાન અને અલ્બેનિયા વચ્ચે શાંતિ કરાર કરાવ્યો હતો. વિશ્વના નકશા અંગે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની મૂંઝવણ આર્મેનિયા-અઝરબૈજાન સંઘર્ષથી આગળ વધી ગઈ. રાત્રિભોજન પાર્ટી દરમિયાન એક સંબોધનમાં, તેમણે કંબોડિયા અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાનો દાવો કર્યો. આ બંને દેશો 4,000 માઇલથી વધુ દૂર છે અને ક્યારેય એકબીજા સાથે યુદ્ધમાં રહ્યા નથી.