દિલ્હીમાં થયેલા કારમાં બોમ્બ બ્લાસ્ટના પગલે ગુજરાત રાજ્યભરમાં એલર્ટ જારી કરી દેવાયું છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એકસન મોડમાં આવી ગયું હતું, અને શહેર જિલ્લાના તમામ પ્રવેશદારો પર કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ શહેર અને જિલ્લાના ધાર્મિક સ્થળો, હોટલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ધર્મશાળા, લોજ તેમજ અન્ય જાહેર તમામ જાહેર સ્થળો પર કડક ચેકિંગ તેમજ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ગઈકાલે સાંજે દેશની રાજધાની દિલ્હી મુકામે બનેલ બ્લાસ્ટના બનાવ અનુસંધાને જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા તથા જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા, તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક આર.બી. દેવધા, તથા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયા, એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન.ચૌધરી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે સાવચેતીના ભાગરૂપે સઘન ચેકીંગ કરાયું હતું.

જામનગર શહેર તેમજ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ, ઉપરાંત વાઈટલ ઇન્સ્ટોલેશન, બંદર, જેટી, હોટલો, વાહન ચેકિંગ તેમજ ધાર્મિક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને સમગ્ર રાત્રીભર પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું.
દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ રાજયના પોલીસવડા દ્વારા આદેશ જારી કરીને તમામ જીલ્લાના એસપીને તકેદારીના ભાગરૂપે ચેકીંગ, પેટ્રોલીંગ અને પ્રવેશદ્વારો પર ચકાસણી તેમજ નાકાબંદી સહિતની કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવતા તાકીદની અસરથી જામનગર જીલ્લા પોલીસવડા દ્વારા શહેર અને જીલ્લાના તમામ પોલીસ મથકોના અધિકારીઓને સુચના આપી દેવાઇ હતી જે અનુસંધાને જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટુકડીઓ દ્વારા સઘન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ અલગ અલગ વિસ્તારોમાં રાત્રીભર પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું ઉપરાંત અન્ય સ્થળોએ બંદોબસ્ત સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.