પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના હત્યા કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા જુનાગઢ જેલમાં બંધ છે. તેમને હૃદય સંબંધિત તકલીફ હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમને ફરી જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર કેસ?
અત્રે યાદ રહે ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ૧૯૮૮ના ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન થયેલી હત્યા અંગે લાંબી કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે ૧૦ જુલાઇ, ૧૯૯૭ના રોજ અનિદ્ધસિંહ જાડેજાને લાઈફ ઇમ્પ્રિઝનમેંટ (આજીવન કેદ)ની સજા ફટકારી હતી. જોકે ત્યારબાદ અનિદ્ધસિંહ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા બાદ ૧૮ વર્ષની સજા ભોગવી હતી. જે દરમિયાન તત્કાલીન એજીપી ટી.એસ. બીષ્ટ્ર મારફત ૨૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ સજામાફી (રેમિશન) મેળવી હતી. જે સામે સ્વ. ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને સજામાફીને પડકારી હતી.
સુપ્રીમ કોર્ટે અપીલ દાખલ થવા સાથે જ કાઢી નાખી હતી
તેમાં હાઇકોર્ટના ન્યાયધીશ એચ. ડી. સુથારે અનિરૂદ્ધસિંહ જાડેજાની આજીવન કેદની સજા માફ કરવાનો હુકમ અયોગ્ય ઠરાવી અનિરૂદ્ધસિંહને ચાર સપ્તાહમાં સરન્ડર થવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટના હુકમને અનિદ્ધસિંહ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવતા સુપ્રીમ કોર્ટે અપીલ દાખલ થવા સાથે જ કાઢી નાખી હતી અને હાઇકોર્ટના તારીખ ૧૮મી સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થઈ જવાના હુકમને કાયમ રાખવામાં આવ્યો હતો.