દિપાવલીના દિવસે જગત મંદિરમાં યોજાયેલા હાટડી દર્શન તથા બીજા દિવસે અન્નકુટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો.દિવાળી પર્વ શ્રૃંખલા દરમિયાન ૪.૬૫ લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશજીને શિશ ઝુકાવ્યુ હતુ.
દિપાવલી પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન - રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હોવાથી રાત્રે જગતમંદિરની ત્રિજયામાં દસ દસ કિમી સુધી દૂરથી ઝળહળતાં જગતમંદિરનો નઝારો જોવા મળ્યો હતો.
જગત મંદિરમાં આવેલાં નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શૃંગારને લીધે ભગવાનના દિવ્ય શૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને મળી હતી.
ગોમતીજીની વિશેષ આરતી, દીપદાન તથા ચુંદડી મનોરથ ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું સવિશેષ મહત્વ હોય ,હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે માં ગોમતીની મહાઆરતી પણ કરવામાં આવી હતી. તેમજ ચુંદડી મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.