BREAKING NEWS

ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, હવે નવી પાર્ટી બનાવીને ચૂંટણી લડીશું: અન્નામલાઈ

  • June 05, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી છોડ્યા બાદ રાજ્ય એકમના પૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈએ પોતાની નવી પાર્ટી બનાવવાનું એલાન કરી દીધું છે. ચેન્નાઈમાં આયોજિત એક મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાના રાજીનામાના કારણો પર ખુલીને વાત કરી અને રાજ્યમાં એક નવું રાજકીય આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. અન્નામલાઈએ સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપના નેતાઓ સાથે મારા વિચારો મેળ નથી ખાતા અને હવે મારી નવી પાર્ટી રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી લડશે.


અન્નામલાઈએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સૌથી મોટી વૈચારિક મૂંઝવણ શેર કરી. તેમણે કહ્યું કે, મારી અંદર એ એક બહુ મોટો દ્વંદ્વ ચાલી રહ્યો હતો કે, હું ભાજપનો વ્યક્તિ છું કે તમિલિયન. તેમણે ખુલાસો કર્યો કે, હું ગત વર્ષે જ પાર્ટી છોડવાનું મન બનાવી ચૂક્યો હતો. મેં 4 ડિસેમ્બર 2025ના રોજ જ પાર્ટીને જણાવી દીધું હતું કે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. પરંતુ પાર્ટીએ મને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રોકાઈ જવા માટે કહ્યું હતું.'


2 જૂને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનને લખેલા પોતાના રાજીનામા પત્રમાં અન્નામલાઈએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે, 'તમિલનાડુમાં વિકાસલક્ષી અને સાંસ્કૃતિક રીતે મજબૂત રાજનીતિને આગળ લઈ જવા અંગેના મારા જે વિચારો છે, તેને લઈને હું હવે દેશના શીર્ષ નેતૃત્વ પર વધુ બોજ નથી નાખવા માંગતો. પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે આ વાતનું પુનરાવર્તન કર્યું કે તેઓ પાર્ટી પર બોજ બનવા નહોતા માંગતા, એટલા માટે અલગ થવાનો નિર્ણય કર્યો.'


ભાજપથી પોતાનો રસ્તો સંપૂર્ણપણે અલગ કર્યા બાદ અન્નામલાઈએ પોતાના ભવિષ્યના રાજકીય બ્લુપ્રિન્ટનો પણ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, 'આજે અમે એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી રાજકીય પાર્ટી તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે. રાજ્યમાં હવે એક નવી અને સ્વતંત્ર રાજકીય વિચારધારાની જરૂર છે, જે જૂની ગઠબંધન રાજનીતિથી અલગ હોય.'


પોતાની અલગ રાજકીય જમીન તૈયાર કરવા અંગે અન્નામલાઈ કેટલા પ્રતિબદ્ધ છે, તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેમણે સુપરસ્ટાર રજનીકાંતનો રાજકીય પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધો છે. અન્નામલાઈએ જણાવ્યું કે, 'રજનીકાંતજીએ મને તેમની સાથે જોડાવા માટે વિનંતી કરી હતી, પરંતુ મેં નમ્રતાપૂર્વક તેનો અસ્વીકાર કરીને મારું પોતાનું જ રાજકીય આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News