નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ વર્ષનું બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં, પરંતુ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થઈ શકે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના અને હળપતિ આવાસ જેવી યોજનાઓ અંગે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3.15 લાખ નવા આવાસો પૂરા પાડવાનું આયોજન છે.
પીએમ આવાસ, આંબેડકર આવાસ અને હળપતિ આવાસ યોજના હેઠળ ઘર વિહોણાઓને છત મળશે. રાજ્યમાં આ વર્ષે 3.15 લાખ નવા આવાસો બનશે, રૂ.4272 કરોડની માતબર જોગવાઈ. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 75 લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાનું ચાલુ રહેશે.