સુરતમાં આર્થિક તંગીથી કંટાળીને વધુ એક રત્નકલાકારે પોતાનો જીવ ટૂંકાવવાનો વારો આવ્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હીરાબાગ નજીકના તિરુપતિ એપાર્ટમેન્ટમાં એક કરુણ ઘટના સામે આવી છે. આર્થિક તંગી અને બીમારીથી કંટાળીને એક રત્નકલાકારે એપાર્ટમેન્ટના ચોથા માળના ધાબા પરથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
છ મહિનાથી બેરોજગાર હતા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકનું નામ ઘનશ્યામ રામોલિયા છે, તે છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા અને સાથે જ કોઈ બીમારીથી પણ પરેશાન રહેતા હતા. આ બેવડી મુશ્કેલીઓના કારણે જ તેમણે હતાશ થઈને આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી
ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.