BREAKING NEWS

જામનગર : દ્વારકામાં ફરીથી દોઢ ઇંચ: જામનગરના વાતાવરણમાં પલ્ટો

  • November 03, 2025 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખેતરોમાં મહેનત કરીને મગફળી પાથરીને પાથરા બનાવીને ખેડુત મનમાં વિચારતો હશો કે એકાદ અઠવાડીયામાં આ તૈયાર થયેલો માર્કેટીંગ યાર્ડમાં વેંચીને થોડીઘણી કમાણી થશે, પરંતુ ખેડુતની આ આશા ઠગારી નિવડી છે, દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં માવઠાને કારણે ભારે નુકશાન થયું છે, ગઇકાલે ફરીથી ભારે ગાજવીજ સાથે દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને કારણે બજારોમાં પાણી ચાલ્યા ગયા હતાં, બીજી તરફ કલ્યાણપુરમાં પણ ગઇકાલે ૬ મીમી વરસાદ પડયો હતો, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કેટલાક સ્થળોએ છુટાછવાયા ઝાપટા પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, આજે સવારથી જામનગરમાં પણ વાદળો ઘેરાયા છે અને ઠંડા પવન સાથે વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો હતો. 


દ્વારકાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે દેવદિવાળીના દિવસે શહેરમાં ભકતોનો મેળાવડો જામ્યો હતો, ત્યારે મેઘરાજાએ ફરીથી દોઢ ઇંચ વરસાદ વરસાવતા લોકો પલળી ગયા હતાં અને બહારગામથી આવેલા લોકોને ભારે મુશ્કેલી પડી હતી, કલ્યાણપુરની વાત લઇએ તો છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો હતો, આજુબાજુના ગામડા સતાપર, ભોગાત, લાંબા, દેવળીયા, નાવદ્રામાં ભારે વરસાદને કારણે હવે તો મગફળીનો સો ટકા પાક નિષ્ફળ જશે તેવું ખેડુતો કહે છે. ત્રણ-ચાર મહીનાની મહેનત બાદ તૈયાર થયેલા મગફળીના પાથરા પલળી ગયા હતાં અને ખેડુતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. 


જામનગરમાં આજે સવારે તડકો નિકળ્યા બાદ ૯ વાગ્યા બાદ ફરીથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળો છવાયા છે, વરસાદ આવે તેવી પણ શકયતા છે. આ ચોમાસામાં ભારે નુકશાનથી ખેડુતો પીડાઇ રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application