BREAKING NEWS

જામનગર : હોટલ વિશાલના ચકચારી પ્રકરણમાં ભાનુશાળી સમાજના પ્રમુખની આગોતરા જામીન અરજી રદ

  • December 23, 2025 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હોટલ વિશાલ ઇન્ટરનેશનલના પ્રકરણમાં એકાઉન્ટન્ટ પર સુનિયોજીત કાવતર રચી જીવલેણ હુમલો કરવાના પ્રકરણમાં ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઇ ભદ્રાની આગોતરા જામીન અરજી અદાલતે ઠુકરાવી દીધી છે, અત્રે નોંધનીય છે કે આ કેસમાં એકાઉન્ટન્ટને મારી નાખવાના ઇરાદે ગુનાહીત કાવતરૂ રચી માણસો મોકલ્યાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.


આ અતી ચકચારી અને ટોક ઓફ ધ ટાઉન કેશની હકિકત એવી છે કે, જામનગરમાં આવેલ પ્રખ્યાત હોટલ વિશાલ ઈન્ટરનેશનલના ભાગીદારો વચ્ચે અંદરો અંદર વિવાદ ચાલતો હોય, તે વિવાદમાં તા.૨૬/૧૧/૨૦૨૫ના રોજ રાત્રીના એકાઉન્ટન્ટ અમીતભાઈ ચંદુભાઈ ચુડાસમાં કે, જેઓ વિશાલ હોટલમાં છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોય, તેમના મોબાઈલ ઉપર ફોન આવેલ અને તેમને કાલથી તારે કામે નથી જવાનું તેમ કહેલ અને તેમને તેમના જ ઘર નિચે બોલાવેલ ત્યા મિલન હંજળા, અનિલ ભદ્રા વિગેરે સહિત અન્ય વ્યક્તિઓ પણ હાજર હતા અને તે તમામના હાથમાં જીવલેણ હથીયારો હતા, તેમાંથી મિલન હંજળા સહિતના દ્વારા ફરીયાદીને એવી ધમકી આપેલ કે, તારે કાલથી હોટલમાં નોકરીએ જવાનું નથી, અમોને કિરીટભાઈ ભદ્રાએ મોકલ્યા છે.


જો જઈશ તો તને તકલીફ પડશે, તેવી ધમકી આપેલ, ત્યારે મુળ ફરીયાદી અમીતે તેમને જણાવેલ કે, મારા આખા પરીવારનો આધાર આ નોકરી ઉપર છે, તેટલું જણાવતાની સાથે આ આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલ અને લોખંડના પાઈપથી અને લાકડાના ધોકાઓથી તેમના ઉપર જીવલેણ હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને નાશી ગયેલ હતાં.


આ બાબતે આ તમામ આરોપીઓ ઉપર જીવલેણ હુમલો કરી અને જાનથી મારી નાખવાની કોશીશની ફરીયાદ જાહેર થયેલ, અને આ હુમલો કરાવનાર તરીકે ભાનુશાળી સમાજના પ્રમુખ કીરીટભાઈ મનસુખભાઈ ભદ્વાનું પણ એફ.આઈ.આર.માં નામ જાહેર કરેલ, તેથી કિરીટભાઈ ભદ્રા દ્વારા આ ગુન્હાના કામે આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને તેમના પક્ષે દલીલો થયેલ કે, આ મુળ ફરીયાદી તે વિશાલ હોટલના અન્ય ભાગીદારો સાથે મળેલ છે અને તેમને કોઈ જ કારણ વગર હાલના આરોપી કીરીટભાઈ ભદ્રાનું નામ જાહેર કરાવી દીધેલ છે.


આ કેશમાં હુમલામાં ઈન્વોવ્લડ હોય તેવો કોઈ જ પુરાવો તપાસમાં આવેલ નથી અને આ કીરીટભાઈ ભદ્રા સમગ્ર ભાનુશાળી સમાજના પ્રમુખ છે અને મોટી ઉમરના છે અને સમાજમાં સારી શાખ અને નામના ધરાવે છે તો તેમનો મોટો બિઝનેશ જામનગર ખાતે છે તેઓ કયાંય નાશી ભાગી જાય તેમ નથી, તેથી તેમને જામીન મુકત કરવા જોઈએ.


તેમના વિરોધમાં ફરીયાદ પક્ષે ધારદાર રજુઆતો કરવામાં આવેલ કે, આ જેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે તે વ્યકિત એક નિદોર્ષ સમાન્ય નોકરીયાત વ્યકિત છે, તેઓ વર્ષોથી આ વિશાલ હોટલમાં નોકરી કરે છે, આ વિશાલ હોટલમાં કિરીટભાઈ ભદ્રા ભાગીદાર છે, તેમના ભાગીદારો ઉપર દબાણ લાવવા માટે આ એકાઉન્ટન્ટને શીકાર બનાવેલ છે અને આ પ્રકારે તેમના ઉપર હુમલો કરેલ છે અને આરોપીઓએ હુમલો કરતા પહેલા કીરીટભાઈએ મોકલેલ હોવાનું પણ જણાવેલ છે, અને સમાજના પ્રમુખ હોય અને નાશી ભાગી જાય તેમ ન હોય તેવા કારણથી જામીન મુકત કરી ન શકાય જયારે કોઈ વ્યક્તિ ઉપર આટલી હેવાનીયતથી ગુનાહીત કાવતરૂ રચી અને હુમલો કરાવેલ છે, તેવા કિસ્સામાં આ આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ પસાર થશે અને હજુ તપાસ બાકી છે, અને લાંબો સમય આ આરોપી નાશતો ભાગતા રહયા છે, તેથી તેમને જામીન મુકત કરવા જોઈએ નહી.


આમ અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને કિરીટભાઈ મનસુખભાઈ ભદ્રાની આગોતરા જામીન અરજી રદ કરવાનો હુમ કરેલ, આ કેસમાં મુળ ફરીયાદી અમીત ચંદુભાઈ ચુડાસમાં તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, એપી.પી. ધર્મેન્દ્ર જીવરાજાણી, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા, ત્થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application