રાજકોટ જિલ્લાના રાજકારણમાં આજે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું ભાજપની ઉમેદવારોની યાદીમાંથી પત્તું કપાઈ ગયું છે. દાયકાઓ સુધી રાજકોટના ગ્રામીણ રાજકારણમાં સક્રિય રહેલા ખાટરિયાની બાદબાકી થતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો હતો
અર્જુન ખાટરિયાનો રાજકીય ઈતિહાસ ઘણો મજબૂત રહ્યો છે. તેઓ સતત ૨૫ વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં પાયાના કાર્યકર અને નેતા તરીકે રહ્યા હતા. ગત વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા, તેમણે કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે ભાજપમાં આવવાથી તેમનું રાજકીય કદ વધશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને મહત્વની જવાબદારી મળશે, પરંતુ પક્ષે આ વખતે તેમને ટિકિટ ન આપીને મોટો આંચકો આપ્યો છે.
સતત ચાર ટર્મનો વિજયી રથ અટક્યો
અર્જુન ખાટરિયાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. જિલ્લા પંચાયતના વહીવટમાં તેમનો બહોળો અનુભવ હોવા છતાં અને પૂર્વ વિપક્ષી નેતા તરીકેની જવાબદારી નિભાવી હોવા છતાં, ભાજપ હાઈકમાન્ડે આ વખતે નવા ચહેરા અથવા અન્ય સમીકરણોને પ્રાધાન્ય આપ્યું છે.
રાજકીય સમીકરણોમાં ફેરફાર
ભાજપમાં પ્રવેશ્યા બાદ આ પ્રથમ સ્થાનિક ચૂંટણી હતી જેમાં ખાટરિયાની બાદબાકી કરવામાં આવી છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપે 'નો રિપીટ થીયરી' અથવા તો જૂના અને પાયાના કાર્યકરોને સાચવવા માટે આ નિર્ણય લીધો હોઈ શકે છે. બીજી તરફ, ૨૫ વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ ભાજપમાં આવેલા નેતાની આ રીતે બાદબાકી થતા હવે તેમના સમર્થકોમાં કેવો રોષ જોવા મળે છે અથવા તો ખાટરિયા આગામી સમયમાં કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.