જામનગરના નીલકમલ ચોકડી પાસે હોટલે ચા-પાણી પીવા ઉભેલા મંડપ સર્વિસના ધંધાર્થી પર તવીથાથી હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની ૩ શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. હોટલે આરોપીઓ કોઇની સાથે માથાકુટ કરતા હોય અને ફરીયાદી તથા તેના માસીયાઇ ભાઇ માથાકુટ કરવા આવ્યા છે એવી શંકાના આધારે આ બબાલ થઇ હતી.
જામનગરના પુનીતનગર શેરી નં. ૩માં રહેતા મંડપ સર્વિસનો ધંધો કરતા શકિતસિંહ ઉર્ફે સંજય વિભાજી જાડેજા (ઉ.વ.૨૪) નામનો યુવાન તેના માસીયાઇ ભાઇ જયપાલસિંહ સાથે મંડપ કાઢવા માટે ગઇકાલે નીલકમલ ચોકડી પાસે વિકાસ મેડીકલમાં ગયેલ અને ત્યાંથી નીલકમલ ચોકડી પાસે શકિતકૃપા હોટલે ચા-પાણી પીવા ઉભા હતા.
ત્યારે આરોપીઓ ત્યાં કોઇની સાથે માથાકુટ કરતા હતા ફરીયાદી અને તેનો માસીયાઇ ભાઇ બંને જણા પણ આરોપીઓ સાથે માથાકુટ કરવા માટે આવેલ છે તેવી શંકા રાખીને ફરીયાદી તેમજ તેના માસીયાઇ ભાઇને અપશબ્દો કહી ફરીયાદી તમે કોણ છો શું કામ ગાળો આપો છો તેમ પુછતા આરોપીઓ પોતાના નામ જણાવીને ફરીયાદીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
ઉપરાંત મીત નામના શખ્સે ત્યાં હોટલમાથી તવીથો લઇને ફરીયાદીને માથામાં મારી લોહી નીકળતી તેમજ હેમરેજ જેવી ઇજા કરી એકબીજાને મદદગારી કરી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે શકિતસિંહ જાડેજા દ્વારા મોડી રાત્રીના સીટી-સી ડીવીઝનમાં જામનગરના મીત સંજય સોઇગામા, તુષાર બારોટ અને જયપાલ નામના ૩ શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.