રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૩ના શાસકપક્ષ ભાજપના કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજાએ મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કિમ જાહેર કરવા માંગ કરી છે.
વિશેષમાં વોર્ડ નં.૩ના ભાજપના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાપાલિકા દ્વારા વ્યાજ માફી યોજના છેલ્લે વર્ષ-૨૦૧૭માં અમલમાં મુકાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કરદાતાઓએ પોતાના બાકી વેરા ચૂકવીને હિસાબ નિયમિત કર્યા હતા. આ યોજનાથી નાગરિકોને આર્થિક રાહત મળી હતી તેમજ મહાનગરપાલિકાને પણ નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ હતી. એટલે આ યોજના બંને પક્ષે લાભદાયી સાબિત થઈ હતી.હાલમાં અમદાવાદ જેવી મોટી મહાનગરપાલિકા પણ બાકી મિલકત વેરા ઉપર વ્યાજ રાહત યોજના ચલાવી રહી છે, જેથી હજારો નાગરિકો લાભ લઇ રહ્યા છે અને મહાપાલિકાની આવકમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુજરાતના મોટા શહેરોમાં આવી જનહિતકારી યોજનાઓ અમલમાં છે, ત્યારે રાજકોટ જેવા વિકસતા શહેરમાં પણ આ યોજના અમલમાં મૂકવી સમયની જરૂરિયિયાત છે.ઘણા નાગરિકો લાંબા સમયથી બાકી રહેલા વ્યાજના બોજને કારણે વેરો ભરવામાં અસમર્થ રહે છે. જો સમયબદ્ધ વ્યાજ માફી આપવામાં આવે તો લોકો એકસાથે ચૂકવણી કરવા પ્રોત્સાહિત થશે, કાનૂની કાર્યવાહી અને દંડની સ્થિતિ ઘટશે અને મહાનગરપાલિકાને ટૂંકા ગાળામાં મોટી આવક પ્રાપ્ત થશે.આથી માંગ કરવામાં આવે છે કે રાજકોટ મહાપાલિકા પણ સમયબદ્ધ મિલકત વેરા વ્યાજ રાહત અને સમાધાન યોજના જાહેર કરે, જેથી નાગરિકોને રાહત મળે અને મહાપાલિકાની આવક મજબૂત બને. અંતમાં તેમણે એવો સવાલ ઉઠાવ્યો જ્યારે અન્ય મહાનગરપાલિકા નાગરિકોને રાહત આપી રહી છે, ત્યારે રાજકોટ પાછળ કેમ રહે..?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application