રાજકોટ: સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આગામી પાંચથી સાત જૂન સુધી ત્રણ દિવસ રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી (બાબા બાગેશ્વર)ની ‘સનાતન સેતુ હનુમંત કથા’ અને ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે ૭:૩૦ વાગ્યે યોજાનારા આ ઐતિહાસિક ધાર્મિક ઉત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાગેશ્વરધામ દ્વારા કેન્સર હોસ્પિટલ, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન, ગૌ-સંરક્ષણ, વૈદિક ગુરુકુળ અને નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજનાલય જેવા સેવાકીય કાર્યો પણ ચલાવવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતાએ સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને આ આધ્યાત્મિક મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
કિશોરભાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કથા માટે સારી રીતે ટીમ બનાવી છે. લોકો દ્વારા આવતું દાન બાગેશ્વરધામના ખાતામાં જશે. જ્યારે મંગલેશભાઈએ જણાવ્યું હતું કે, કથામાં મોટી સંખ્યામાં લોકો આવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને કોઈ તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ સાંજે 7.30થી રાતના 11 વાગ્યા સુધી કથાનો સમય રહેશે. બાબા બાગેશ્વરની ઇચ્છા મુજબ એક દિવસ દરબાર લાગશે. જેની તારીખ તેઓ આવ્યા પછી નક્કી કરવામાં આવશે.
આ કથાનું સંપૂર્ણ આયોજન બાગેશ્વરધામના શિષ્ય કિશોરભાઈ ખંભાયત દ્વારા કરવામાં આવ્યું છે. આ કથા માટે સૌરાષ્ટ્ર સનાતન બેનર હેઠળ અહીંથી કોઈ પણ પ્રકારનું ફંડ ઉઘરાવવાનું નથી. કોઈને વિશ્વાસથી ફંડ આપવું હોય તેઓ બાગેશ્વરધામના ખાતામાં સીધું આપી શકશે. જેના માટે આયોજન સ્થળે કાઉન્ટર ખોલવામાં આવશે અને ઓનલાઈન પણ દાન કરી શકાશે. બાબા બાગેશ્વર રાજકોટ એરપોર્ટથી રાજકોટ આવશે ત્યારે કુવાડવા ગામ બોમ્બે સુપર સીડ્સ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, શિવ શક્તિ હોટલ ડિમાર્ટ, પારેવડી ચોક, હોસ્પિટલ ચોકમાં ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ચૌધરી હાઇસ્કૂલ, બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી કિશાનપરા ચોક, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને કોટેચા ચોક થઈ કિશોરભાઈ ખંભાયતાના ઘરે ઉતારો છે ત્યાં પહોંચશે.