શહેરની બાબરીયા કોલોનીમાં બાપુનગર સ્મશાનના મેનેજરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાથે લિવઇનમાં રહેતી યુવતી અવાર નવાર ઝગડા કરી ચાલી જતી હોવાથી કંટાળી પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. હાલમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઢેબર રોડ પર ધર્મજીવન સોસાયટી શેરી નંબર-1માં જલારામ ચોક પાસે રહેતા સંદીપભાઈ મનસુખભાઇ શિયાણી (ઉ.વ.41)એ ગત તા.14ના રાત્રીના નવેક વાગ્યે બાબરીયા કોલોનીમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ શુભમ હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. સંદીપભાઈના ડિવોર્સ થઇ ગયા હતા અને યુવતી સાથે પાંચેક મહિનાથી મૈત્રીકરાર કરી સાથે રહેતા હતા. અવાર નવાર બંને વચ્ચે ઝગડાઓ થતા હોવાથી યુવતી જુદી રહેવા ચાલી જતી હતી. જેનાથી કંટાળી પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. વધુ તપાસ ભક્તિનગર પોલીસે હાથ ધરી છે.