જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU) માટે આજે એક મહત્વપૂર્ણ વહીવટી નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની બહાલી બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર (કુલસચિવ) તરીકે શ્રી રમેશચંદ્ર ગેલાભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે. શ્રી રમેશચંદ્ર પરમારની નિમણૂકથી યુનિવર્સિટીના વહીવટી માળખાને મજબૂતી મળશે અને વિકાસ કાર્યોને નવી ગતિ મળશે.
પસંદગી પ્રક્રિયા અને નિમણૂક
યુનિવર્સિટી દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ અધિનિયમ 2023 અને યુનિફોર્મ સ્ટેચ્યુટસ 2024ની જોગવાઈઓ હેઠળ રજિસ્ટ્રારની જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ઇન્ટરવ્યૂના અંતે વરણી સમિતિએ શ્રી રમેશચંદ્ર પરમારની પસંદગી કરી હતી. આ ભલામણને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક નંબર 07/2025માં મંજૂર કરવામાં આવી હતી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે (તા. 29/10/2025) આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.
માનનીય કુલપતિશ્રીની મંજૂરી બાદ શ્રી રમેશચંદ્ર ગેલાભાઈ પરમારને સાતમા પગાર પંચ મુજબ લેવલ 14 – એન્ટ્રી પે ₹1,44,200/- ના પગાર ધોરણમાં નિયુક્તિ આપવામાં આવી છે. નવા રજિસ્ટ્રાર શ્રી પરમાર હવે યુનિવર્સિટીના દૈનિક વહીવટી કાર્યો, શૈક્ષણિક આયોજન અને સરકારી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેનાથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને સીધો લાભ થશે.