ગુજસીટોકના ગુનામાં 22 માસથી ફરાર કુખ્યાત રમેશ રાણાના સાગરીત ભરત મુછડીયાને ક્રાઈમ બ્રાન્ચની ટીમ રીક્ષા ચાલકનો વેશ પલટો કરી ઝડપી લીધો હતો.જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ક્રાઈમ જગદીશ ભાંગરવા અને એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સીએચ જાદવની રાહબરી હેઠળ તપાસમાં હતી. દરમિયાન પીએસઆઇ એ.એન.પરમારની ટીમના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, સંજયભાઈ દાફડા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ગુજસીટોકના ગુનામાં 22 માસથી ફરાર આરોપી ભરત દાનાભાઈ મુછડીયા (ઉ.વ 44 રહે. ન્યારા ગામ રણછોડદાસ બાપુના આશ્રમની બાજુમાં તા. પડધરી) ને રીક્ષા ચાલકનો વેશપલટો કરી ઝડપી લીધો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં નાનામવા રોડ પર આંબેડકરનગરમાં રહેતા કુખ્યાત રમેશ રાણા મકવાણા, આણંદપરના હીરા પમાભાઇ સાગઠીયા અને હાલમાં ઝડપાયેલા આરોપી ભરત દાના મુછડીયા વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2016 થી 2023 સુધીમાં આ ગેંગે અને ગુના આચર્યા હતા. રમેશ, હીરા અને ભારતે ખોટા કુલમુખ્યતારનામા બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રોણકીના જમીનના માલિક પાસેથી રૂપિયા 18 કરોડ પડાવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગુનાહિત ઇતિહાસ ધ્યાને લઇ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઇ હતી. જે ગુનો નોંધાયા બાદ આરોપી ભરત 22 માસથી ફરાર હતો. આરોપી ભરત સામે અગાઉ પડધરી પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસ, પંચમહાલમાં મારામારી, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડી,પ્ર.નગરમાં છેતરપિંડી, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી-વિશ્વાસઘાત તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી અને કાલાવડમાં લેન્ડગ્રેબિંગ સહિત આઠ ગુના નોંધાઈ ચૂક્યા છે.