BREAKING NEWS

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૯ નવેમ્બરથી શરૂ થશે

  • November 06, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે

રાજ્યમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળીની ખરીદી કરવાનો ઉદારતમ નિર્ણય


ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. ૯ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૮૦, અડદના ભાવમાં રૂ. ૪૦૦ અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૩૬ નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણષ વેચવી નહીં પડે.

રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી મગ, અડદ અને સોયાબીન માટે ૩૦૦થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૭,૨૬૩ પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૭૬૮ પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. ૭,૮૦૦ પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. ૫,૩૨૮ પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application