પશ્ચિમ બંગાળની તમામ ૨૯૪ વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ૪ મેના રોજ મતોની ગણતરી થવાની છે. જોકે, પરિણામો પહેલાં દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના કેટલાક બૂથ પર મતદાન પ્રક્રિયામાં ખામીઓ અને ધાંધલીની ફરિયાદો ઉઠતા ચૂંટણી પંચે ત્યાં ફરીથી વોટિંગ કરાવવાનો નિર્ણય લીધો છે.
કયા વિસ્તારોમાં થશે ફરી મતદાન?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના બે મુખ્ય મતવિસ્તારોના કુલ ૧૫ બૂથ પર ફરીથી મતદાન થશે:
મગરાહાટ પશ્ચિમ: આ વિધાનસભા મતવિસ્તારના સૌથી વધુ ૧૧ બૂથ પર ફરીથી વોટિંગ થશે.
ડાયમંડ હાર્બર: આ હાઈ-પ્રોફાઈલ વિધાનસભા મતવિસ્તારના ૪ બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવશે.

ફરી મતદાનની તારીખ અને સમય
ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે આ તમામ ૧૫ મતદાન કેન્દ્રો પર આવતીકાલે એટલે કે ૨ મે ના રોજ ફરીથી મતદાન યોજાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તમામ બેઠકોના પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે.
ઓબ્ઝર્વરના રિપોર્ટના આધારે લેવાયો નિર્ણય
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મનોજ કુમાર અગ્રવાલે અગાઉ સંકેત આપ્યા હતા કે સંવેદનશીલ વિસ્તારોમાં ઓબ્ઝર્વર્સના અહેવાલના આધારે ફરી મતદાન થઈ શકે છે. ચૂંટણી દરમિયાન મળેલી ગંભીર ફરિયાદો અને ધાંધલીના પુરાવાઓને ધ્યાનમાં રાખીને પંચે લોકશાહીની ગરિમા જાળવવા આ કડક નિર્ણય લીધો છે.
ચૂંટણી પંચે આ વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ૨ મે ના રોજ થનારા આ પુનઃ મતદાન પર તમામ રાજકીય પક્ષોની નજર રહેશે.