અમદાવાદના જાણીતા કેમિકલ ગ્રુપ 'મયુર ડાઈ કેમ' પર આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી મેગા સર્ચ કામગીરી આજે અંતે પૂર્ણ થઈ છે. આ દરોડામાં જે આંકડાઓ સામે આવ્યા છે તે જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. તપાસ દરમિયાન અંદાજે ૫૦ કરોડ રૂપિયાની અસ્કયામતો જપ્ત કરવામાં આવી છે, જ્યારે ૨૦૦ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો હાથ લાગ્યા છે.
આઈટી વિભાગની ટીમોએ મયુર પટેલ અને સુજલ પટેલ સહિતના ભાગીદારોના નિવાસસ્થાન અને ઓફિસો ફેંદી નાખી હતી. તપાસના અંતે નીચે મુજબનો 'ખજાનો' મળી આવ્યો છે:
રોકડ રકમ: અધિકારીઓએ સ્થળ પરથી અંદાજે ૧૦ કરોડ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે.
ઝવેરાત: તપાસ દરમિયાન ૪૦ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને કિંમતી જ્વેલરી મળી આવી છે.
બેનામી દસ્તાવેજો: આશરે ૨૦૦ કરોડ રૂપિયાના એવા વ્યવહારો મળ્યા છે, જેનો કોઈ હિસાબ ચોપડે નોંધાયેલો નહોતો.
ક્યાં ક્યાં પડી હતી તપારા?
આ ઓપરેશન એટલું મોટું હતું કે આઈટી વિભાગે એકસાથે અનેક મોરચે હુમલો કર્યો હતો. મયુર ડાઈ કેમના બે મુખ્ય ડાયરેક્ટરો સહિત ભાગીદારોના ઘર, ફેક્ટરી અને ઓફિસ સહિત કુલ ૨૦ સ્થળોએ તપાસ ચાલી હતી. મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા રીકવર કરવામાં આવ્યો છે, જે આગામી સમયમાં મોટા ખુલાસા કરી શકે છે.