ગુજરાતના બારડોલીના કડોદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા બાદ શોકજનક સમાચાર સામે આવ્યા છે. ભારે હિમવર્ષા બાદ સંપર્ક વિહોણા બનેલા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશીના મૃતદેહ આજરોજ શોધખોળ દરમિયાન મળી આવ્યા છે. આ ઘટનાથી કડોદ ગામ અને સમગ્ર સુરત જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
કડોદ ગામના રહેવાસી જીગ્નેશભાઈ અને તેમની ધોરણ-11માં અભ્યાસ કરતી પુત્રી પ્રિયાંશી (વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ)ને દુર્ગમ પહાડી વિસ્તારોમાં ટ્રેકિંગ કરવાનો ભારે શોખ હતો. આ શોખને સંતોષવા માટે બંને પિતા-પુત્રીએ નેપાળના પડકારરૂપ અન્નપૂર્ણા-3 તરફના ટ્રેકિંગનું આયોજન કર્યું હતું. પિતા-પુત્રી ગત 14 ઓક્ટોબરના રોજ નેપાળ જવા રવાના થયા હતા અને 21 ઓક્ટોબરના રોજ તેમને પર્વતારોહણની શરૂઆત કરી હતી. તેઓનો 31 ઓક્ટોબર સુધીમાં પરત ફરવાનો નિર્ધારિત કાર્યક્રમ હતો.
હિમવર્ષા બાદ 21મી ઓક્ટોબરથી સંપર્ક તૂટ્યો
જીગ્નેશભાઈની પત્ની જાગૃતિ બેને છેલ્લે 21 ઓક્ટોબર, 2025ના રોજ ફોન પર વાત કરી હતી. ત્યારે જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, નેપાળમાં ભારે હિમવર્ષા થવાના કારણે અન્નપૂર્ણા-3 તરફના માર્ગો બંધ થઈ ગયા છે. ત્યાર બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. સતત બે દિવસ સંપર્ક ન થતાં જાગૃતિબેને તેમણે રોકાણ કરેલી હોટલનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેઓ પરત ન ફર્યા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ કડોદ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને માંડવી ખાતે સાંસદ પ્રભુ વસાવાની ઓફિસ મારફતે વિદેશ મંત્રાલય અને ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.