BREAKING NEWS

નેપાળમાં ભયાનક મહામારીનો ખતરો, ઓળખ ન થતા મૃતદેહો સડવા લાગ્યા, હોસ્પિટલો ડેડબોડીથી હાઉસફૂલ

  • August 30, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેપાળમાં તાજેતરમાં આવેલી અચાનક અને વિનાશક પૂરની હોનારત બાદ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ૬૦૦થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જોકે, મોટાભાગના મૃતદેહોની ઓળખ ન થઈ શકવાના કારણે તેમનો અંતિમ સંસ્કાર અટકી પડ્યો છે. હવે યોગ્ય સાચવણીના અભાવે આ મૃતદેહો કોહવાઈ રહ્યા હોવાથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો અને ભયાનક મહામારી ફેલાવાનો મોટો ખતરો ઉભો થયો છે, જેનાથી સ્થાનિક રહીશોમાં દહેશતનો માહોલ છે.


પરિસ્થિતિ સૌથી વધુ ચિંતાજનક ચિતવન જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાંથી અત્યાર સુધીમાં ૧૭૮ જેટલા મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે. આ મૃતદેહોમાં પુરુષો, મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ગણેશ આર્યલના જણાવ્યા મુજબ, હોસ્પિટલોમાં શબઘરની જગ્યા ઓછી પડતાં મૃતદેહોને સરકારી ઓફિસોમાં રાખવાની નોબત આવી છે. યોગ્ય કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેશન સુવિધાના અભાવે આ મૃતદેહો ઝડપથી ખરાબ થઈ રહ્યા છે અને તેમાંથી ભયાનક દુર્ગંધ ફેલાઈ રહી છે.


બીજી તરફ, નેપાળ ગૃહ મંત્રાલયના ઉપ પ્રવક્તા રમા આચાર્ય સુબેદીએ માહિતી આપી હતી કે રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન જેવા વિસ્તારોમાંથી સતત નવા મૃતદેહો મળી રહ્યા છે. મહામારી રોગ નિયંત્રણ વિભાગના ડિરેક્ટર ડૉ. અનુજ ભટ્ટાચને જણાવ્યું કે સ્થાનિક સ્તરે સંસાધનોની તીવ્ર અછત હોવાથી ધાદિંગથી મળેલા મૃતદેહોને કાઠમંડુ અને પોખરા ખસેડવામાં આવી રહ્યા છે, જેથી ત્યાં ઉપલબ્ધ રેફ્રિજરેશન સુવિધાનો ઉપયોગ કરીને તેમને થોડો સમય સાચવી શકાય.

મહામારીના આ ગંભીર ખતરાને પહોંચી વળવા માટે નેપાળ સરકારે હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર અજ્ઞાત અને વગર ઓળખાયેલા તમામ મૃતદેહોના ડીએનએ (DNA) સેમ્પલ સુરક્ષિત રાખીને તેમના ઝડપી અંતિમ સંસ્કાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. ડીએનએ સેમ્પલ લેવાથી ભવિષ્યમાં જ્યારે પણ કોઈ સ્વજનો પોતાના ગમશુદા સભ્યોની ઓળખ માટે આવશે ત્યારે ડીએનએ મેચ કરી શકાશે. આ પગલાથી હાલમાં ફેલાતી અસહ્ય દુર્ગંધ અને સંક્રામક રોગોના ચેપને અટકાવી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application