સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે બપોરે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મહત્વની બેઠકો મળનારી હતી. આ અંગેનો એજન્ડા પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ આ બંને બેઠકો મુલતવી રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીના તંત્ર દ્વારા આ સંદર્ભે તમામ સભ્યોને મેસેજ મોકલીને મીટીંગ રદ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.
યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી અને તેની ટીમ મુંબઈ યુનિવર્સિટી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. ગઈકાલે સાંજે જ રાજકોટ પરત આવી જવાના હતા પરંતુ ફ્લાઈટ કેન્સલ થતા તે રાજકોટ આવી શક્યા નથી. આજે બપોરે મુંબઈથી અમદાવાદની ફ્લાઈટમાં તે આવશે અને અમદાવાદથી મોટર માર્ગે રાજકોટ આવી પહોંચશે.
આજની મુલતવી રાખવામાં આવેલી બેઠક નતા.9 ના રોજ મંગળવારે બોલાવવામાં આવી હોવાનું પણ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.
બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કમિટીની આ બેઠકમાં ભરતી ને લગતા નિયમો નક્કી કરવાના હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની 170 થી વધુ જગ્યાઓ ખાલી પડી છે તે ભરવા માટેની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. કાયમી રજીસ્ટ્રાર, પરીક્ષાની નિયામક, ગ્રંથપાલ, એન્જિનિયર જેવી મહત્વની જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી પડી છે. નોન ટીચિંગ સ્ટાફની જગ્યા ભરવા માટે ભૂતકાળમાં અરજીઓ માગવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તે પ્રક્રિયા પડતી મૂકવામાં આવી હતી. હવે આ બધી જગ્યાઓ ભરવા માટે નિયમો નક્કી કરવા સહિતની બાબતો માટે આજે મિટિંગમાં નિર્ણયો લેવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ મીટીંગ મુલતવી રહેતા હવે આગામી તારીખ નવના રોજ આ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.