ડબલ મર્ડરથી સુરતમાં હડકંપ મચી ગયો છે. શહેરના ઉધના વિસ્તારમાં બનેવીએ જ પોતાના સાળા અને સાળીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. આરોપી બનેવીએ સાળી સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. જેને લઈને ઘરમાં ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા બનેવીએ સાળા અને સાળીની છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું ખુલ્યું છે. આ ઘટનામાં સાસુને પણ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
લગ્નની ખરી કરવા ઉત્તર પ્રદેશથી આવ્યા હતા
આ ઘટનાની વિગત એવી છે કે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નિશ્ચય અશોક કશ્યપ (ઉં.વ.30) પોતાના લગ્નની ખરીદી કરવા માટે તેની બહેન મમતા (ઉં.વ.25) અને માતા શકુંતલાબેન સાથે સુરત આવ્યો હતો. જો કે સુરત આવવાના થોડા જ દિવસોમાં 34 વર્ષીય બનેવી સંદીપ ઘનશ્યામ ગૌરના માથે હવસ સવાર થઈ હતી. ગત મોડી રાત્રે તેણે નિર્લજ્જ બનીને તેની સાળી મમતા સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી અને છેડતી કરી.
નિશ્ચયે સંદીપને ઠપકો આપવાનો પ્રયાસ કર્યો ને પછી...
સંદીપે કરેલી આ શરમજનક હરકતથી ઘરમાં જોરદાર ઝઘડો થયો હતો. સાળા નિશ્ચયે જ્યારે બનેવી સંદીપને ઠપકો આપવાનો પ્રયાસ કર્યો ત્યારે સંદીપ ઉશ્કેરાયો અને છરી કાઢીને નિશ્ચયના પેટના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. ભાઈને બચાવવા માટે નાની બહેન મમતા વચ્ચે પડતાં હત્યારા સંદીપે તેને પણ ક્રૂરતાપૂર્વક છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાને કારણે નિશ્ચય અને મમતા બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ બંનેના મોત નીપજ્યા હતા. આ બનાવમાં વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઇજાઓ પહોંચી હતી, જેમની હાલ સારવાર ચાલી રહી છે. નિશ્ચયના લગ્ન ડિસેમ્બરમાં થનાર હતા.
પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાને ઝડપી લીધો
ડબલ મર્ડરની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ફરાર થઈ રહેલા આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો.
હત્યારો સંદિપ સુરતના પટેલનગરમાં રહે છે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હત્યારો સંદિપ ઘનશ્યામ ગૌર પત્ની વર્ષા અને ત્રણ સંતાનો સાથે સુરતમાં પટેલનગરમાં રહે છે. જોકે, ગત મોડી રાત્રે સંદિપ બેશરમ બન્યો હતો અને મમતા સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવી તેની છેડતી કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. મોટી બહેન સાથે જેના લગ્ન થયા હતા છતાં નિર્લજ્જતા સાથે તેની જ નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કરતાં બનેવીને ઠપકો આપવા જતાં સંદિપ અને સાળી મમતાને મોત મળ્યું હતું.