BREAKING NEWS

રાજકોટના વેપારી સાથે 4. 62 કરોડની છેતરપિંડી: ફઈબાના દીકરાએ બંધ પેઢીમાં ખોટા વ્યવહાર કરતા જીએસટીએ ફટકારી પેનલ્ટી

  • October 16, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના જીવરાજ પાર્કમાં રહેતા વેપારી ની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની પેઢી ફઈબાના દીકરા સાથે ભાગીદારીમાં ચાલુ કર્યા બાદ પેઢી બંધ કરી દીધેલ અને આ પેઢીમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર કરેલ નહી જેથી પેઢીનો જીએસટી નંબર રદ કરવાનું કહેતા ફઈબાના દીકરાએ પેઢી રદ ન કરાવી વેપારીની જાણ બહાર બંને પેઢીના નામે કરોડોના વ્યવહારો કરી લીધા બાદ વેપારીને જીએસટી વિભાગે 4.62 કરોડની જીએસટી પેનલ્ટી ફટકારતા પોતાની સાથે ફઈબાના દીકરાએ છેતરપિંડી આચાર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના મોટામવા નંદન રેસીડેન્સી રિવેરા પ્રાઇડ જીવરાજ પાર્ક 80 ફુટ રોડ પર રહેતા પ્રકાશભાઈ પરસોત્તમભાઈ કમાણી ઉંમર વર્ષ 37 વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


પ્રકાશભાઈ કામાણીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે આલ્પાઈન પ્રાઇવેટ લિમિટેડ નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા હોય 150 ફૂટ રીંગરોડ બિગ બજાર નજીક ચંદ્ર પાર્ક બે માં સિદ્ધિવિનાયક હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની પેઢી ધરાવી અલગ અલગ ટૂર પેકેજનો ધંધો કરતા હતા.


આ પેઢી 2019 સુધી ચાલુ રાખેલ ત્યારબાદ બંધ કરી દીધી હતી આ પેઢીના એકાઉન્ટ અને રીટનર્સની જવાબદારી તેમના સગા ફઈબાના દીકરા અલ્કેશ હીરાલાલ પેઢડીયા રહે જામનગર વાળાને કહી પેઢીના જીએસટી નંબર તેમજ આધાર કાર્ડ અને પાનકાર્ડ નંબર તેમજ જન્મ તારીખ સહિતના ડોક્યુમેન્ટ સાથે 2019માં આ પેઢી બંધ કરી દેવાનું કહ્યું હતું અને પેઢીમાં એક પણ પ્રકારનો વ્યવહાર વહીવટ કરેલ નહતો જેથી પેઢી બંધ કરી રદ કરવાનું અલ્કેશને કહ્યું હતું.


જેથી અલ્કેશે હવે મોટાપાયે ધંધો કરવો છે આપણે પ્રાઇવેટ કંપની બનાવીએ જેથી તેના કહેવા મુજબ 2019માં 150 ફૂટ રીંગ રોડ પર અલ્પાઈન થાઈડ્રીમ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ટ્રાવેલ્સની કંપની શરૂ કરી હતી જે હાલ બદલીને શાશ્વત સ્પેસ મુકાજી સર્કલ નાના મવા રોડ ખાતે કાર્યરત હોય જેમાં પોતે ફઈબાનો દીકરો અલ્કેશ અને તેના પત્ની શ્રુતિબેન તેમજ જાણીતા મોનાબેન એમ ચાર જણા આ પેઢીમાં ડાયરેક્ટર તરીકે જોડાયા હતા જે પેઢીનો સંપૂર્ણ વહીવટ પોતે સંભાળતા હતા.


અને કંપનીનું જીએસટી અને રિટર્નર્સ સહિતનું ઓડિટનું કામ અલ્પેશભાઈ સંભાળતા હોય થોડા સમય પછી જીએસટી વિભાગ દ્વારા સમન્સ મળ્યું હતું અને 30/ 9/25ના રોજ નિવેદન લખાવવા જવાનું હતું જે નિવેદન લખાવવા જતા જાણવા મળ્યું હતું કે સિદ્ધિવિનાયક હોલીડેઝ પેઢીના જીએસટી નંબર જે રદ કરાવવાનું કહ્યું હતું તે અલ્કેસે રદ ન કરાવી તે નંબર ચાલુ રાખ્યો હતો અને તેના પર અલગ અલગ વ્યવહારો કર્યા હતા.


જીએસટી ના નિયમ મુજબ જીએસટી ભરવાનું થતું હોય પ્રકાશભાઈની જાણ બહાર અલ્કેશે ઉપરોક્ત બંને પેઢીમાં કુલ 4.62 કરોડના વ્યવહારો ખોટા બીલ ઉભા કરી જીએસટી પોર્ટલ ઉપર એન્ટ્રીઓ કરી રિટર્નર્સ ભરી ખોટા ઇલેક્ટ્રોનિક્સ રેકોર્ડ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મામાના દિકરા સાથે છેતરપિંડી આચરતા આ અંગે પ્રકાશભાઈ કામાણીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે પીઆઇ બી.એમ હરીપરાએ વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application