કેબિનેટની બેઠકમાં, કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો. આ વધેલો ડીએ 1 જુલાઈથી અમલમાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, સરકારે દિવાળી પહેલા લાખો કર્મચારીઓને ભેટ આપી છે. તહેવારોની મોસમની આસપાસ સરકારો દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવી સામાન્ય છે. આ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. આ મોંઘવારી ભથ્થુ જુલાઈ-2025થી લાગુ થશે.
પેન્શનદારોને આ વધારાનો લાભ મળશે
કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. એક હોળી પહેલાં જાન્યુઆરી-જૂન દરમિયાન અને બીજું દિવાળી પહેલાં જુલાઈ-ડિસેમ્બર દરમિયાન ડીએમાં વધારાની જાહેરાત થાય છે. દેશના 1.50 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનદારોને આ વધારાનો લાભ મળશે.
છેલ્લા છ વર્ષની તુલનાએ સૌથી ઓછો વધારો
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 3 ટકાનો વધારો થશે. આ સાથે કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના 58 ટકા થશે. આ વર્ષે જાન્યુઆરી-જૂનમાં મોંઘવારી ભથ્થું 2 ટકા વધારવામાં આવ્યું હતું. જે છેલ્લા છ વર્ષની તુલનાએ સૌથી ઓછો વધારો હતો.
આઠમું પગાર પંચ લાગુ થવાની શક્યતા
કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવે તો બેઝિક પગાર રૂ. 36000 છે. તો મોંઘવારી ભથ્થું દર મહિને 1080 રૂપિયા વધશે. પેન્શનધારકોને પણ પ્રમાણસર લાભ મળશે, અને મોંઘવારી રાહતમાં વધારો થવાની અપેક્ષા છે. હાલ સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું વધે છે. આ સાતમા પગાર પંચનો 10 વર્ષનો ગાળો 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થશે. આગામી વર્ષના મધ્ય સુધીમાં આઠમું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે.