ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે
રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે: મંત્રી
મંત્રીના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના રૂ.૨૧,૭૭૩.૬૧ લાખના ૫૪ પ્રકલ્પોનું ઈ–ખાતમુહુર્ત તથા ૨૪૪૯.૯૨ લાખના ૧૦૬ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું
જામનગર તા.૧૪ નવેમ્બર, તા.૧૫ નવેમ્બર ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજંયંતિ નિમિત્તે ગુજરાતમાં તા.૧ થી તા.૧૫ નવેમ્બર દરમિયાન જન જાતીય ગૌરવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગર શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના એક મહાન યોદ્ધા, સમાજ સુધારક અને આંદોલનકાર ભગવાન બિરસા મુંડા આદિવાસી સમુદાયના નેતા હતા. તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્રિત કરી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપ્યો હતો. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે તેઓને લોકપ્રિય રીતે "ભગવાન બિરસા" કહેવાતા હતા.તેમણે આદિવાસી સમાજમાં એકતા લાવી અને આધુનિક શિક્ષણ તથા સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બિરસા મુંડાએ "ઉલગુલાન" નામક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, જે પ્રખ્યાત આદિવાસી વિદ્રોહ હતું. તેમનું જીવન માત્ર 25 વર્ષનું હતું, પરંતુ તેમના આંદોલન અને ત્યાગના કારણે તેઓ આજે પણ આદિવાસી સમુદાય માટે "ભગવાન બિરસા" તરીકે પૂજાય છે.
રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં આદિજાતિ સમુદાયના પૂજનીય, જનનાયક બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસાની સ્મૃતિમાં દર વર્ષે ૧૫ નવેમ્બરને 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી આદિજાતિ અસ્મિતાને ગૌરવ અપાવ્યું છે. દેશમાં તેમની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે રાજ્યમાં આ માત્ર ઔપચારિક ઉજવણી નહીં, પણ આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે.
કાર્યક્રમમાં મંત્રીના હસ્તે જામનગર જિલ્લાના વિવિધ વિભાગો જેમાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), શિક્ષણ વિભાગ હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળના પ્રોજેક્ટ અંતર્ગતના કામો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા સામાન્ય વહીવટી વિભાગ અંતર્ગત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના કુલ રૂ. ૨૧,૭૭૩.૬૧ લાખના ૫૪ પ્રકલ્પોનું ઈ–ખાતમુહુર્ત તથા ૨૪૪૯.૯૨ લાખના ૧૦૬ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડના જીવન ચરિત્ર પરની ફિલ્મ નિહાળી હતી. તેમજ તેઓના જીવન વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના અગ્રેસર આગેવાનોનું સમ્માન, વિવિધ સ્પર્ધાઓમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ શાળાઓના આચાર્યનું સમ્માન, વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ તથા મંજૂરીપત્રો, ૩ સખી મંડળોને કેસ ક્રેડીટ લોન અંતર્ગત રૂ.૧૪લાખની રકમના ચેક, પ્રધાનમંત્રી સ્વનિધિ અંતર્ગત શહેરી ફેરિયાઓ માટે લોનની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની, અગ્રણી બિનાબેન કોઠારી, ડેપ્યુટી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.