સરકારે ડીલીટ કે ડિસેબલ ન થઇ શકે એવી સંચાર સાથી નામની સરકારી એપ નવા તમામ મોબાઈલમાં પ્રીઇન્સ્ટોલ કરીને જ આપવાનું હેન્ડસેટ ઉત્પાદક કંપનીઓને આદેશ કરતાં હોબાળો મચી ગયા પછી સરકારે ફેરવી તોળ્યું છે અને જાહેરાત કરી છે કે હવે આ એપને ડીલીટ અને ડિસેબલ કરી શકાશે. સોફ્ટવેર અપડેટની સાથે જ આપોઆપ ફોનમાં ઇન્સ્ટોલ થઇ જતું આ એપ હવે યુઝર પોતાના ફોનમાં ન રાખવા માંગતા હોત તો તેને અનઇન્સ્ટોલ કરી શકશે. આ એપ યુઝર્સની પ્રાઈવસી અને મૌલિક અધિકારોના હનન કરનાર હોવાનો દેશભરમાં ભારે હોબાળો મચી ગયા પછી સરકારે યુટર્ન લેવો પડ્યો છે.
સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા જારી કરી છે કે"જો તમે એપનો ઉપયોગ કરવા માંગતા હો, તો તેને સક્રિય કરો. જો તમે ન કરો, તો તેને સક્રિય કરવાની કોઈ જરૂર નથી. તે ફરજિયાત નથી. જો તમે ઈચ્છો તો તમે તેને તમારા ફોનમાંથી ડિલીટ કરી શકો છો." તેમણે ઉમેર્યું કે સરકારની જવાબદારી છે કે તે ખાતરી કરે કે આ એપ લોકો માટે સુલભ છે, કારણ કે તેનો હેતુ નાગરિકોને છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમથી બચાવવાનો છે.
આજે સવારથી જ વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ સરકારની મંછા બાબતે પણ શંકાઓ ઉઠી રહી હતી.આ એપથી યુઝરની પ્રાઈવસી ખતમ થઇ જશે અને તેની તમામ માહિતી સરકારને મળતી રહેશે એમ કહીને વિપક્ષે આ પગલા સામે વિરોધનો અવાજ ઉઠાવ્યો છે. આમ તો સરકાર સાઈબર ફ્રોડ અટકાવવાના એપ તરીકે સંચાર સાથી એપની દરેક મોબાઈલમાં ફરજીયાત બનાવી રહી હતી પણ તેનાથી મોબાઈલ ધારકોની જાસુસી કરવામાં આવશે એવી આશંકા હતી.
ભારતમાં મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવવા અને ઓનલાઇન છેતરપિંડી અટકાવવા માટે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ડોટ) એ એક નવો નિર્દેશ જારી કર્યો હતો. આ નિર્દેશ હેઠળ, ભારતમાં ઉત્પાદિત અથવા વિદેશથી આયાત કરાયેલા દરેક નવા સ્માર્ટફોનમાં હવે સંચાર સાથી એપ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી રહેશે. બધા મોબાઇલ ઉત્પાદકો અને આયાતકારોને આ આદેશનો તાત્કાલિક અમલ કરવા કહેવામાં આવ્યું હતું. આ એપને યુઝર કોઈ રીતે ડીલીટ કે ડિસેબલ કરી શકશે નહીં તેવી વ્યવસ્થા હતી. વિપક્ષે આ એપને પેગાસસ જેવી ગણાવીને સરકાર પર હુમલા કર્યા હતા.
સંચાર સાથી એપ મોબાઇલ વપરાશકર્તાઓને સુરક્ષા પૂરી પાડે છે. જો કોઈ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો તેની જાણ મિનિટોમાં કરશે અને તેને બ્લોક કરશે. વધુમાં, આ એપ્લિકેશન નકલી લિંક્સ, સ્પામ કોલ્સ, શંકાસ્પદ સંદેશાઓ અને મોબાઇલ ફોન પર ચાલુ કનેક્શન્સ પર નજર રાખવામાં પણ મદદ કરશે. આ એપ્લિકેશનની ખાસ વિશેષતા એ છે કે વપરાશકર્તાઓને હવે આઈએમઈઆઈ નંબર યાદ રાખવાની ઝંઝટનો સામનો કરવો પડશે નહીં.
કે.સી. રાજસ્થાનના રાજ્યસભા સાંસદ વેણુગોપાલે ટ્વિટર પર લખ્યું કે બિગ બ્રધર નાગરિકો પર નજર રાખવા માંગે છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગનો આ નિર્દેશ ગેરબંધારણીય છે. ગોપનીયતાનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 માં સમાવિષ્ટ જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો એક અભિન્ન ભાગ છે. એક પ્રી-લોડેડ સરકારી એપ્લિકેશન, જેને અનઇન્સ્ટોલ કરી શકાતી નથી, તે દરેક ભારતીય પર એક ભયંકર સર્વેલન્સ મશીન છે. તે દરેક નાગરિકની દરેક પ્રવૃત્તિ, વાતચીત અને નિર્ણય પર નજર રાખવાનું સાધન છે. આ ભારતીય નાગરિકોના બંધારણીય અધિકારો પરના હુમલાનો એક ભાગ છે. આ નિર્દેશ ચાલુ રહેવા દેવામાં આવશે નહીં. અમે આ નિર્દેશને નકારી કાઢીએ છીએ અને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરીએ છીએ.