BREAKING NEWS

સોના-ચાંદીના બજારમાં ભારે ફફડાટ... હીરાસર એરપોર્ટ પર સેન્ટ્રલ IBએ 400 કિલો ચાંદી જપ્ત કરી, જાણો કોણે ચાંદી મોકલી હતી

  • May 17, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (સેન્ટ્રલ IB) દ્વારા રાજકોટ એરપોર્ટ પર હાથ ધરવામાં આવેલા એક મોટા ઓપરેશને સમગ્ર સોના-ચાંદી બજારમાં ભારે સળવળાટ મચાવી દીધો છે. ગુપ્ત અને સચોટ બાતમીના આધારે કેન્દ્રીય એજન્સીએ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થતાંની સાથે જ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી અને અંદાજે 400 કિલો જેટલો શંકાસ્પદ ચાંદીનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ આખી કાર્યવાહી એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે સ્થાનિક સ્તરે કોઈને કાનોકાન ખબર પણ પડી નહોતી.


વારાણસીની 'સનરાઈઝ પેઢી'એ આ ચાંદી મોકલી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલા આ 400 કિલો ચાંદીના જથ્થાની વર્તમાન બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કિંમતી જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસી (કાશી)થી વિમાન મારફતે રાજકોટ મોકલવામાં આવ્યો હતો. વારાણસીની 'સનરાઈઝ પેઢી' નામના એક વેપારી દ્વારા આ માલ અહીં રવાના કરાયો હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટ પર માલ ઉતરતાની સાથે જ સુરક્ષા જવાનો અને આઈબીની ટીમે તેને કસ્ટડીમાં લઈ આગળની સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી

આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ જેમ જેમ આગળ વધી તેમ તેમ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વારાણસીથી આવેલો આ ચાંદીનો મોટો જથ્થો રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં એક મોટા વેપારીનો હતો. આ વેપારી રાજકોટની અલગ-અલગ 5 પેઢીઓમાં આ ચાંદી સપ્લાય કરવાના હતા અને તેનું વિતરણ અલગ-અલગ જગ્યાએ થવાનું હતું. જોકે, આ પૂર્વે જ કેન્દ્રીય એજન્સીએ સમગ્ર નેટવર્ક પર ત્રાટકીને પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. જ્યારે તપાસ અધિકારીઓએ સંબંધિત વેપારીઓ પાસે આ ચાંદીના જથ્થા અંગેના કાયદેસરના બિલ, દસ્તાવેજો કે કોઈ પણ પ્રકારના પુરાવા માંગ્યા, ત્યારે વેપારીઓ ભીંસમાં મુકાયા હતા અને કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા.


ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગની મદદ લેવામાં આવી

કોઈપણ કાયદેસરના આધાર વગર આટલી મોટી માત્રામાં બિનહિસાબી અને શંકાસ્પદ ચાંદી ઝડપાતા હવે આ મામલે કેન્દ્રીય એજન્સીઓ સિવાય અન્ય સરકારી વિભાગો પણ સક્રિય બન્યા છે. ટેક્સ ચોરી અને ગેરકાયદે આર્થિક વ્યવહારોની પ્રબળ આશંકાને પગલે હવે આ કેસમાં ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગની સત્તાવાર મદદ લેવામાં આવી રહી છે. આ બંને નાણાકીય એજન્સીઓ હવે આ કેસમાં જોડાઈને કાળા નાણાંના મોટા રેકેટના એંગલથી તપાસ કરશે. અધિકારીઓ હાલમાં શંકાસ્પદ પેઢીઓના જૂના બિલિંગ ડેટા અને હિસાબી ચોપડાઓ એકત્ર કરી રહ્યા છે, જેથી એ જાણી શકાય કે આ નેટવર્ક દ્વારા ભૂતકાળમાં અત્યાર સુધીમાં કેટલો બિનહિસાબી માલ રાજકોટમાં ઠાલવવામાં આવ્યો છે.


સોના-ચાંદીના બજારમાં ભારે ફફડાટ 

રાજકોટ એરપોર્ટ પર થયેલી આ 10 કરોડની ચાંદીની જપ્તીના કારણે રાજકોટના પ્રખ્યાત સોના-ચાંદીના બજારમાં  ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે. વેપારી આલમમાં આ ઓપરેશનને લઈને જાતભાતની ચર્ચાઓ વહેતી થઈ છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ કોઈ સામાન્ય કરચોરીનો મામલો નથી, પરંતુ લાંબા સમયથી સક્રિય એક બહુ મોટા આંતરરાજ્ય ગેરકાયદેસર નેટવર્કનો ભાગ હોઈ શકે છે. તપાસની પ્રક્રિયા જે રીતે તેજ ગતિએ આગળ વધી રહી છે તે જોતાં આગામી દિવસોમાં સોના-ચાંદીના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અનેક મોટા માથાઓના નામ બહાર આવે અને આ આખા રેકેટનો પર્દાફાશ થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application