રાજ્યના રસ્તાઓ રીપેર કરવા માટે ખાસ જરૂર છે, કેટલાક સ્થળોએ બ્રીજ અને નવા રસ્તા બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ર૦ હજાર કરોડની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ અને મુખ્યમંત્રી સાથેની બેઠકમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ કરી હતી અને કહ્યું હતું કે ગુણવત્તા સુનિશ્ચિત કરો, અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહો એવો સ્પષ્ટ સંદેશ બેઠકમાં આપવામાં આવ્યો છે.
નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તંત્રને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે નેશનલ હાઇવેના નિર્માણ અને રિસર્ફેસિંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી માન્ય નહીં તેવી કડક સૂચના આપવામાં હતી, તેમજ નક્કી કરેલી સમયમર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ કરવા માટે કેન્દ્રીય મંત્રીનો અધિકારીઓ તથા ઇજારદારોને કડક નિર્દેશ અપાયો હતો.
આ ઉપરાંત સુગમ રોડ કનેક્ટિવિટીને ટોચની પ્રાથમિકતા આપવા અને તે અંગે ગંભીરતા દાખવવા તમામ ઉચ્ચ અધિકારીઓ અને ઇજારદારોને સૂચના અપાઇ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ કર્યો કે, નેશનલ હાઈવે પર રાજ્યમાં ૩૫ ટકાથી વધુનું ભારણ રહે છે એ સંદર્ભમાં આ હાઈવેઝની યોગ્ય મરામત થતી રહે અને જરૂર જણાયે વિસ્તૃતિકરણના કામો પણ એનએચએઆઇ કરતી રહે.
મુખ્યમંત્રીએ ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ, ગોંડલ, જેતપુર, અમદાવાદ, ઉદેપૂર આ ત્રણ માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પુર્ણ થાય તે જોવા પણ કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય મંત્રી ગડકરીજીને કરેલી રજૂઆત અંગે ત્વરિત પ્રતિસાદ આપતા નીતિન ગડકરીજીએ ગુજરાતમાં એનએચએઆઇ હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે રૂ.૨૦ હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી.