જામનગર શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે બની ગયેલો ફલાય ઓવર હવે ઉદઘાટનની રાહ જુએ છે, જામનગરવાસીઓ પણ આ પુલ કયારે ખુલ્લો મુકાશે તે અંગે ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે, ત્યારે કદાચ તા.૨૪ ને સોમવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જામનગર આવે તેવી શકયતા છે તેમ સુત્રોનું કહેવું છે.
સોમવાર તા.૨૪ના રોજ હજુ મીનીટ-ટુ-મીનીટ કાર્યક્રમ અને તારીખ અંગે હજુ અવઢવ છે, સીએમઓ કાર્યાલયમાંથી કોર્પોરેશનના અધિકારીઓને તૈયારી રાખવા કહી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે, અગાઉ આજે એટલે કે તા.૨૦ના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ફલાય ઓવરનું ઉદઘાટન થવાનું હતું પરંતુ મુખ્યમંત્રીનો કાર્યક્રમ પટણા જવાનો નકકી થયો હોય જામનગરના તમામ કાર્યક્રમો રદ થયા છે, જામનગરમાં રૂ.૪૫૧ કરોડના લોકાર્પણ અને ખાતમુર્હુતના કામો મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ ટાઉનહોલ ખાતે એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ તારીખ અંગે હજુ જો અને તો જેવી સ્થિતિ છે, હવે કદાચ તા.૨૪ અંગે મુખ્યમંત્રી સમય આપે તેવું હાલ લાગી રહ્યું છે.
જામનગરવાસીઓને લાંબા સમયથી આ ફલાય ઓવર કયારે ખુલ્લો મુકાશે તે અંગે ઇન્તેજાર છે, બ્રિજ ખુલ્લો મુકાયા બાદ શહેરની ટ્રાફિક સમસ્યામાં સારો એવો ફાયદો થશે અને સમસ્યા હળવી થશે, પરંતુ આજ સાંજ સુધીમાં સીએમઓ કાર્યાલય તરફથી મુખ્યમંત્રીનો સમય ફાળવી દેવાય તેવી શકયતા છે, કદાચ સોમવારે સવારના ભાગે મુખ્યમંત્રી જામનગર આવે તે રીતની તૈયારીઓ થઇ રહી છે.