ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે દ્વારકા આવી રહ્યા છે અને માણેક પરીવાર દ્વારા ચાલી રહેલા ત્રિવેણી સંગમ જેવા ધર્મોત્સવમાં હાજરી આપવાના છે, સ્વભાવીક રીતે આગમન બાદ સૌ પ્રથમ જગતમંદિરમાં દર્શન કરવા જશે અને ત્યાંથી સીધા જ ધર્મોત્સવ ખાતે હાજરી આપવા જશે, પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કદાચ જામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રીનું આગમન થશે અને ત્યારબાદ હેલીકોપ્ટર મારફત તેઓ રવાના થશે.
ધારાસભ્ય પબુભા માણેક પરીવાર દ્વારા તા.૨૯-૧ થી શરૂ થયેલ શ્રીમદ દેવી ભાગવત કથા, ચંડી મહાયજ્ઞ તેમજ ૧૦૦૮ શિવલીંગનો મહાદ્ર અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો શ્રઘ્ધા અને આસ્થાભેર ચાલી રહ્યા છે જેમાં દરરોજ અનેક મહાનુભાવો સંતો-મહંતો આવી રહ્યા છે, આવતીકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
જગતગુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આર્શીવચન, પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી નેપાલી બાબાના પરમ શિષ્ય પબુભા વિરમભા માણેક દ્વારા આ ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે, જેમાં તા.૧૯થી ૨૮ જાન્યુઆરી સુધી શ્રીમદ દેવી ભાગવત કથા યોજાઇ છે, જેની આજે પૂર્ણાહુતી છે, તા.૨૩ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ચંડી મહાયજ્ઞ તેમજ ૧૦૦૮ શિવલીંગનો મહારૂદ્ર અભિષેક ચાલશે જેમાં હજારો શિવભકતો અને માઇ ભકતો ઉપસ્થિત રહેશે. માણેક પરીવાર દ્વારા તમામ ભકતજનો માટે સવારે ૧૦ થી બપોરે ૪ તેમજ સાંજે ૬ થી ૧૧ દરમ્યાન ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારકા ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, મુખ્યમંત્રી સવારે ૧૧ વાગ્યાની આસપાસ દ્વારકા પહોંચશે જયાંથી દ્વારકાધીશના દર્શન કરી ચંદી મહાયજ્ઞમાં હાજરી આપી ગૌ શાળા ખાતે પણ ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.