દેશ બાળકો અને કિશોરો (૧૬ વર્ષથી ઓછી ઉંમરના) દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવાની તૈયારી કરી રહ્યો છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે સંકેત આપ્યો છે કે સોશિયલ મીડિયાના ઉપયોગ, વય મર્યાદા અને નિયમનના મુદ્દા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું છે કે સોશિયલ મીડિયા માટે લઘુત્તમ વય મર્યાદા નક્કી કરવાનો મુદ્દો સરકારની સમીક્ષા હેઠળ છે. બાળકો અને કિશોરો પર સોશિયલ મીડિયાની નકારાત્મક અસરને ધ્યાનમાં રાખીને, સરકાર વિવિધ હિસ્સેદારો સાથે પરામર્શ કરી રહી છે અને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.
સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા ઉપયોગથી બાળકો પર નકારાત્મક અસર વધી રહી હોવાનું તાજેતરના આંકડાઓમાં સામે આવ્યું છે. અહેવાલ મુજબ આશરે 82 ટકા બાળકો 14–16 વર્ષની ઉંમરે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને 9 થી 17 વર્ષના બાળકો દરરોજ સરેરાશ 3 થી 6 કલાક ઓનલાઇન વિતાવે છે.
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ અતિરિક્ત સ્ક્રીન ટાઈમ બાળકોના માનસિક વિકાસ, એકાગ્રતા અને સામાજિક વર્તન પર પ્રતિકૂળ અસર કરે છે. અભ્યાસોમાં દર્શાવાયું છે કે હિંસાત્મક અને અનુકૂળ ન ગણાતી સામગ્રી બાળકોના વર્તનમાં આક્રમકતા અને ચિંતા વધારી શકે છે.
ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નિયંત્રણ માટે તૈયારી શરૂ કરી છે. ભારતમાં પણ આ દિશામાં નીતિગત ચર્ચા ચાલી રહી છે. સરકાર સ્તરે કન્ટેન્ટ ફિલ્ટરિંગ અને વય મર્યાદા જેવી વ્યવસ્થા લાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે. વિશેષજ્ઞોએ માતા-પિતા અને શાળાઓને બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર રાખવા અને સમય મર્યાદા નક્કી કરવા સલાહ આપી છે.