ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો .૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ આવતીકાલ તા. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનાર છે જામનગર જિલ્લામાં ૨૮ હજારથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે. શાંતીપુર્ણ વાતાવરણમાં બોર્ડની પરીક્ષાઓ લેવાય એ માટે એકશન પ્લાન ઘડી કાઢી સુચારૂ આયોજન કરવામાં આવ્યુ છે. આજે જુદા પરીક્ષા કેન્દ્રો ખાતે વિધાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંકની ચકાસણી કરી શકશે. પરીક્ષા ક્ધટ્રોલરૂમ કાર્યરત થઇ ગયો છે, ઉપરાંત કોઇ વિધાર્થીને મુશ્કેલી હોય તે માટે હેલ્પ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે આવતીકાલથી માર્ચ સુધી પરીક્ષાનો ધમધમાટ જોવા મળશે.
જામનગરમાં બોર્ડની મહત્વની પરીક્ષાઓ આવતીકાલથી શરૂ થના છે અને ૧૮ માર્ચ સુધી પરીક્ષાઓ ચાલશે જે માટે સ્થાનીક શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જીલ્લા શિક્ષણ અધિકારી વી.જે. મહેતાના માર્ગદર્શન હેઠળ સ્થાનીક શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા બોર્ડની પરીક્ષા માટે સુચારૂ આયોજન કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ધો.૧૦માં જામનગર માટે ૯ સેન્ટર, ૫૯ બિલ્ડીંગ અને ૫૭૭ બ્લોકની ૧૭૩૪૩ વિધાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.૧૨ ( વિજ્ઞાન પ્રવાહ ) માંટે ૨ સેન્ટર, ૧૦ બિલ્ડીંગ ૯૫ બ્લોકમાં ૧૯૦૫ વિધાર્થીઓ પરીક્ષા આપશે.
જયારે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં પાંચ સેન્ટર, ૩૨ બિલ્ડીંગ અને ૩૦૩ બ્લોક માં ૯૧૬૯ વિધાર્થી પરીક્ષાઓ આપશે. સંસ્કૃત પ્રથમામાં ૪૬ અને સંસ્કૃત મધ્યમાં માં ૭૫ વિધાર્થીઓ નોંધાયા છે આમ બોર્ડના ધો. ૧૦-૧૨ના મળી કુલ ૧૬ કેન્દ્ર, ૧૦૧ બિલ્ડીંગ અને ૯૭૫ બ્લોક ખાતે પરીક્ષાનું આયોજન થયું છે. જેમાં કુલ ૨૮૫૩૮ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
તમામ બિલ્ડિંગો માં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી કોપીકેસનું દૂષણ ડામી શકાય. વિદ્યાર્થીઓની મદદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આજે અલગ અલગ કેન્દ્રો પર વિધાર્થીઓ પોતાનો પરીક્ષા ક્રમાંક જોઇ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, એસએસી પરીક્ષા સવારના સેશનમાં અને એચએસસી પરીક્ષા બપોરના સેશનમાં લેવાશે, પરીક્ષા દરમ્યાન રીઝર્વ ડે અને જાહેર રજાઓ રહેશે, આમ ૨૬ થી શરૂ થનાર બોર્ડની પરીક્ષાઓ ૨૦ થી ૨૨ દિવસ સુધી ચાલનાર છે, એસએસસી અને એચએસસી ઝોનવાઇઝ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. ડીઓ કચેરી ખાતે જીલ્લા પરીક્ષા ક્ધટ્રોલ કેન્દ્ર કાર્યરત કરાયું છે. આવતીકાલે બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે અધિકારીઓ દ્વારા બાળકોને મોઢા મીઠા કરાવી કુમકુમ તિલકથી આવકારીને શુભેચ્છાઓ પાઠવી પરીક્ષાનો શુભારંભ કરાવવામાં આવશે.
દર વર્ષની જેમ બોર્ડ દ્વારા પરીક્ષાઓ સીસી ટીવી કેમેરા હેઠળ લેવાનાર છે, જામનગર જીલ્લામાંથી અંદાજે એસએસસીમાં ઝોનમાં જામનગર શહેર અને જામનગર દિગ્વીજય તથા જીલ્લામાં પરીક્ષા કેન્દ્રો ધ્રોલ, કાલાવડ, જોડીયા, લાલપુર, સિકકા અને જામજોધપુર તથા જાંબુડા પાટીયાનો સમાવેશ થાય છે.
એસએસસી પરીક્ષા અને સંસ્કૃત પ્રથમાનો સમય સવારે ૧૦-૩૦ થી ૧-૧૫ રહેશે અને એચએસસીમાં બપોરનું સેશન રહેશે અને અમુક પેપરો સવારના સેશન્સમાં પણ લેવાશે.