રાજકોટ શહેરમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધોરણ ૧૦ ની સગીરા પર દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ભોગ બનનાર સગીરા ધો.૧૦ માં અભ્યાસ કરે છે અને આરોપી ધો.૧૨ માં અભ્યાસ કરે છે. બંને સાથે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલ એક ટ્યુશન કલાસીસમાં સાથે અભ્યાસ કરવા જતાં હતાં. તે દરમિયાન આરોપીએ સગીરાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી વાતચીતની શરૂઆત કરી હતી. જે બાદ પ્રેમ સબંધના નામે સગીરાને ફસાવી હતી.
જે બાદ આરોપી સગીરાને તેની વાવડી ગામે રહેતી ભાભીના ઘરે લઈ ગયો હતો અને ત્યાં બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ વધું બે વખત પ્રેમ સબંધના નામે સગીરાનો દેહ ચૂંથ્યો હતો. દરમિયાન ગઈ તા.૪ ના સગીરા પોતાના ઘરે હતી ત્યારે તેના પિતા પણ ઘરે હતાં. પિતા દોઢેક વાગ્યે કામ પર જતાં સગીરા આરોપી સાથે નીકળી ગઈ હતી. જે અંગે ઘરે રહેલ સગીરાના દાદીએ તેના પિતાને જાણ કરી તેણીની શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન સગીરા સાંજે પાંચ વાગ્યે ઘરે આવતાં પિતાને બનાવ અંગે જાણ કરતા પરીવાર ચોંક્યો હતો. સગીરા પર તે દિવસે પણ આરોપીએ બળજબરી કર્યાની વાત કરી હતી અને પોતે બેભાન જેવી થતાં તેને સારવારમાં ખસેડવી પડી હતી. જે અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપી વંશ પરેશ કુબાવત (ઉ.વ.૧૯), (રહે. લાલપાર્ક) ને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.