જીવામૃત, ઘન જીવામૃત અને પ્રાકૃતિક અસ્ત્રો બનાવવાની પદ્ધતિઓનું જીવંત નિદર્શન તથા જમીનની ફળદ્રુપતા વધારવા અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું
જામનગર તા.૨૯ જાન્યુઆરી, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના દલતુંગી ગામે પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર માટે ‘ક્લસ્ટર બેઝ’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તાલીમ દરમિયાન ગામના પ્રગતિશીલ ખેડૂત હેમંતભાઈ નકુમ, યુવરાજસિંહ જાડેજા અને શ્રી મહેશભાઈ શાહ દ્વારા પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો વિશે વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવી હતી. જેમાં વિશેષ કરીને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક રીત, વિવિધ પ્રાકૃતિક અસ્ત્રોનો ઉપયોગ તેમજ આ પદ્ધતિથી જમીનમાં અળસિયા અને અન્ય સેન્દ્રિય તત્વોના કારણે વધતી ફળદ્રુપતા વિશે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.

આ શિબિરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના તજજ્ઞ સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહી ખેડૂતોને સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ લાંબા ગાળે જમીનને પણ ફળદ્રુપ બનાવે છે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં પાયારૂપ સાબિત થશે. તાલીમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ રસપૂર્વક ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતીની વિવિધ તકનીકો શીખી તેને પોતાના ખેતરમાં અમલી બનાવવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.