મુંબઈ કિનારાથી અંદાજે 100 નોટિકલ માઇલ દૂર ભારતીય તટરક્ષક દળે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોસ્ટગાર્ડ દ્વારા ત્રણ તેલ વહન કરનાર જહાજોને કબજામાં લેવામાં આવ્યા છે. આ જહાજો ઈરાન સાથે સંકળાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી છે.
મળતી માહિતી મુજબ, તટરક્ષક દળને સમુદ્રમાં કેટલીક શંકાસ્પદ હલચલ અંગે માહિતી મળી હતી. સમુદ્રના મધ્યમાં એક જહાજમાંથી બીજા જહાજમાં તેલ ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની જાણ થતાં તરત જ નજર રાખવામાં આવી. આવી રીતથી ઘણીવાર તેલનું મૂળ સ્થળ છુપાવવામાં આવે છે. પરિસ્થિતિ ગંભીર જણાતા તટરક્ષક દળે ત્રણેય જહાજોને રોકી તપાસ શરૂ કરી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા જહાજોમાંથી બે જહાજો પર અમેરિકી પ્રતિબંધ લાગેલા હોવાની ચર્ચા છે. આ જહાજો પર ઈરાનની તેલ કંપની સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે ઈરાનની તેલ કંપનીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે પકડાયેલા જહાજો સાથે તેમનો કોઈ સીધો સંબંધ નથી. કંપનીએ આ મામલે વધુ માહિતી એકત્રિત કરવાની વાત પણ કહી છે.નોંધનીય છે કે
તટરક્ષક દળ છેલ્લા કેટલાક સમયથી દરિયામાં ગેરકાયદેસર તેલ હેરફેર પર ખાસ નજર રાખી રહ્યું હતું. આધુનિક પ્રણાલીઓ અને ટેકનિકલ સાધનોની મદદથી જહાજોની હલચલ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવતા જ તરત કાર્યવાહી કરવામાં આવી.
હાલમાં ત્રણેય જહાજોને સુરક્ષિત સ્થળે લઈ જઈ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. જહાજોમાં કેટલું તેલ હતું, તે ક્યાંથી આવ્યું અને ક્યાં જવાનું હતું તેની માહિતી મેળવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
આ કાર્યવાહી ભારતની સમુદ્રી સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દરિયામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવાનો સંદેશ પણ આ પગલાથી આપવામાં આવ્યો છે.