BREAKING NEWS

જામનગર : કોંગ્રેસને રામ, ગામ અને કામ ત્રણેય શબ્દથી વાંધો છે-પુનમબેન માડમ

  • January 08, 2026 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 

જામનગર - દેવ ભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, ભાજપ જામનગર જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, જામનગર શહેર અધ્યક્ષ બિનાબેન કોઠેરીએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) વીબી-જી રામ - જી  અધિનિયમ, ૨૦૨૫  અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું. 


સાંસદ પૂનમબેન માડમ એ પ્રેસવાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગત ૧૧  વર્ષ ના કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણયમાં લોકહિત કેન્દ્ર સ્થાને રહ્યુ છે. જેના પરિણામે દેશના વિકાસને નવી ગતિ, નવી દિશા મળી છે. સમાજના છેવાડાના, વંચિત, ગરિબ તેમજ નાના મા નાના વ્યક્તિને વિકાસની મુખ્યધારામાં લાવવાનું કામ થયું છે. મોદીજી એ આવાસ, આરોગ્ય, આહાર, આજીવીકા માટેની વિવિધ યોજનાઓ દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે. આ વિવિધ યોજનાઓ થકી છેલ્લા એક દાયકામાં દેશમાં ૨૫ કરોડથી વધુ ગરીબો ગરીબીરેખાથી બહાર આવ્યા છે. ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વીબી-જી રામ - જી  યોજના લઇને આવ્યા છે.


આ યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજનામાં ૧૦૦ દિવસ કામ મળતુ હતુ હવે મોદીજીના નેતૃત્વમાં બનેલી વીબી-જી રામ-જી  યોજનામાં ૧૨૫ દિવસ કામ ની ગેરેંટી મળશે. આમા કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયુ છે. વાવણી અને કાપણીની મોસમમાં  ૬૦ દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઇ કરવામાં આવી છે  જેથી ખેતીની સિઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે. વીબી-જી રામ-જી માં ૧૨૫ દિવસ અને ૬૦ દિવસ ખેતીની સિઝનમાં એમ કુલ ૧૮૫  દિવસ રોજગારી મળી શકશે. આ યોજનાન માં કેન્દ્ર સરકારથી  ગ્રામ પંચાયત સુધી  વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે.  જેનાથી આપણે સંતુલિત વિકાસની દિશામાં વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું. 


વિકસીત ભારત જી રામ જી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામ-જી યોજના ગરિબોનું સન્માન કરીને ગ્રામિણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હર હાથ કો કામ, હર કામ કા સન્માન ને સાકાર કરવામાં ગામાડા અને ગરિબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતાઇ આપશે. દેશની આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭ માં પ્રત્યેક ક્ષેત્રમાં વિશ્વસ્તરે ભારતની અગ્રેસરતા સાથેના વિકસિત ભારતના નિર્માણના વિઝન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નિર્ણાયકતા અને દૂરંદેશીતા સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે.


વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) વીબી-જી રામ-જી  અધિનિયમ, ૨૦૨૫ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ હેઠળની દેશ ની કેન્દ્ર સરકારનું આ જ દિશામાં એક અતિમહત્વપૂર્ણ પગલું છે. આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે. 

  
વીબી-જી રામ-જીનો ઉદ્દેશ્ય માત્ર મજૂરી કામ થકી વેતન આપવાનો નહિ પણ કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા, ગ્રામ્ય એમએસએમઇ  અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગસાહસિક તરીકે તૈયાર કરવાનો છે. મનરેગામાં ૧૦૦ દિવસ કામની ગેરેંટી હતી  જ્યારે વીબી-જી રામ - જી  માં ૧૨૫ દિવસના કામની ગેરંટી આપવામાં આવી છે. મનરેગામાં ૧૫ દિવસે વેતન ચૂકવવામાં આવતું હતું જ્યારે  વીબી-જી રામ - જી માં સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વીબી-જી રામ-જી  માં રિયલ-ટાઈમ ડેટા અપલોડ, જીપીએસ અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક અને એ આઈ ના ઉપયોગથી પારદર્શીતા વધવાથી  નકલી જોબકાર્ડથી ફરજી લાભાર્થીઓ લાભ નહિ લઈ શકે, મનરેગામાં થતો ભ્રષ્ટાચાર અટકશે. કોંગ્રેસના નેતા પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી કહેતા કે  તેઓ એક રૂપિયો મોકલે તો જનતા સુધી માત્ર ૧૫ પૈસા પહોંચતા હતા વચેટીયાઓ જનતાના પૈસા ખાઇ જતા હતા. આજે મોદી સરકારમાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફરના માધ્યમથી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સહાય સીધી પહોંચે છે. 


કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશની અંદાજે ૬૦૦ સંસ્થાઓ, યોજનાઓ અને પુરસ્કારો ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા.૧૯૮૦ માં ઇન્દિરા ગાંધીજી એ બધી રોજગાર યોજનાઓને ભેગી કરીને રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજના નામ આપ્યું. બાદમાં રાજીવ ગાંધીએ તેનું નામ બદલીને જવાહર રોજગાર યોજના કર્યુ. ૨૦૦૪ માં યુપીએ સરકારે તેનું નામ બદલીને નરેગા કર્યું, અને ત્યારબાદ ૨૦૦૫ માં તેને ફરીથી બદલીને મનરેગા  કરવામાં આવ્યું. તો જ્યારે કોંગ્રેસ સરકારે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્યું, ત્યારે શું તે પંડિત જવાહરલાલ નહેરુ નું અપમાન હતું ? 


મૃત્યુ સમયે પણ મહાત્મા ગાંધીજીના મુખે ભગવાન શ્રી રામનું નામ હતું, તેમના મુખેથી છેલ્લો ઉચ્ચારાયેલો શબ્દ હે રામ! હતો. રામનું નામ લેવામાં કોંગ્રેસને હમેંશા સંકોચ અને સમસ્યા રહી છે. રામના નામથી આજની કોંગ્રેસ અને તેમના વડવાઓને તકલીફ છે. તે સમજાતું નથી કે રામનો જન્મ ભારતમાં થયો હતો આ દેશ સનાતન ધર્મમાં માનનારો દેશ છે છતા કોંગ્રેસને રામ નામથી શું વાંધો છે? કોંગ્રેસને ગામનો વિકાસ થાય તો તેમા પણ વાંધો છે. ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તેમા પણ કોંગ્રેસને વાંધો છે એટલે કે ટુંકમાં કહીએ તો કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો છે. કોંગ્રેસે ક્યારેય આઝાદીના ૬૪ વર્ષમાં ગામડાનો વિકાસ અને રોજગારી મળી રહે તે દિશામાં વિચાર્યુ નથી. 


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હમેંશા લોકશાહી માટે મહત્વપુર્ણ સંસ્થાનો અને યોજનાઓને જનસેવા સાથે જોડવાની પરંપરા સ્થાપી છે. ઉદાહરણ તરીકે રાજભવનનું નામ લોકભવન, રાજપથનું  કર્તવ્ય પથ, રેસકોર્ષ રોડનું લોકકલ્યાણ માર્ગ, પ્રધાનમંત્રી કાર્યાલયનું સેવાતીર્થ કરવામાં આવ્યું છે, આ પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમ, ભારતીય જનતા પાર્ટી, જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય્ મેધજીભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application