જામનગર સહિત સમગ્ર હાલારમાં ચાર-પાંચ દિવસ પહેલા ઠંડીનું વાતાવરણ શરૂ થયું હતું તેમાં થોડો ઘટાડો થયો છે, જો કે આગામી દિવસોમાં ઠંડી વધુ પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે ત્યારે જામનગરનું તાપમાન આજે ૧૬ ડીગ્રીએ પહોંચી ગયું છે, આગામી દિવસોમાં બાજરી, શિયાળુ મગફળી, ચણા, જીરૂ, ઘઉં અને તલનું વધુ વાવેતર થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતો કહે છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૯.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૫ થી ૧૦ કિ.મીની ઝડપે રહી હતી. છેલ્લા અઠવાડીયા પહેલા ઠંડીનો પારો ૧૩ થી ૧૫ ડીગ્રી વચ્ચે રહ્યો હતો અને સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
માવઠુ થયા બાદ હાલારના ખેડુતોને ભારે નુકશાન થયું હતું, સરકારે જો કે એક હેકટર દીઠ ા.૨૨૦૦૦ જેવું વળતર આપ્યું છે તે અપૂરતું છે, પરંતુ હવે શિયાળો પાક લેવા માટે ખેડુતોએ મહેનત શરૂ કરી દીધી છે, મોટેભાગે શિયાળુ મગફળી, જીરૂ, ઘઉં, ચણાનું વાવેતર વધુ કરવામાં આવે છે, જામનગર જિલ્લામાં હજુ મોટાભાગ ખેડુતોને તેમના ખેતરમાં માવઠાથી નુકશાનના પૈસા મળેલ નથી જયારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે એક જ દિવસમાં ૨ હજાર ખેડુતોને સહાય મળી ગઇ છે. જામનગર જિલ્લામાં પણ ઝડપથી ખેડુતોને સહાય મળે તેવું આયોજન તંત્રએ કરવું જોઇએ.
છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેર અને આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, જો કે હવામાન ખાતાએ આજથી સમગ્ર ગુજરાતમાં ઠંડી શરૂ થશે તેવું જણાવ્યું છે. જામનગરમાં જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં રોગચાળો વઘ્યો છે, મિશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે.