બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું મોન્થા વધુ તીવ્ર બન્યું અને 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે કાકીનાડા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું છે. આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના મેનેજિંગ ડિરેક્ટર પ્રખર જૈને જણાવ્યું હતું કે ચક્રવાતી વાવાઝોડું મોન્થાએ જમીન પર આવવાનું શરૂ કરી દીધું છે અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાની ધારણા છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે જેમ જેમ જમીન પર આવશે તેમ તેમ તોફાન વધુ તીવ્ર બનશે.
જિલ્લા વહીવટીતંત્રે ૨૪x૭ કંટ્રોલ રૂમ અને ૭૪ રાહત કેન્દ્રો શરુ કર્યા છે. અવિરત સંદેશાવ્યવહાર જાળવવા માટે સેલ ફોન ટાવર પર જનરેટર ગોઠવીને સંદેશાવ્યવહાર સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. જાહેર હિતમાં, કલેક્ટરે જનતાને સતર્ક રહેવા અને જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવાની સલાહ આપી છે.
આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના મેનેજિંગ ડિરેક્ટર પ્રખર જૈને જણાવ્યું હતું કે છેલ્લા છ કલાકમાં ચક્રવાતી વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે, અને સાંજ સુધીમાં, તે વિશાખાપટ્ટનમથી લગભગ 560 કિલોમીટર દૂર હતું. જૈને દરિયાકાંઠાના જિલ્લાઓના રહેવાસીઓને સતર્ક રહેવા અને સલામતી સલાહનું પાલન કરવા વિનંતી કરી હતી. હાલ સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સ્કૂલો અને કોલેજો બંધ કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું કે પીએમ મોદીએ ચક્રવાત મોન્થાનો સામનો કરવા માટે રાજ્યને તમામ શક્ય કેન્દ્રીય સહાયની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ તેમને દિવસ દરમિયાન ફોન કરીને ચક્રવાતની તીવ્રતા અને લેવામાં આવી રહેલા સાવચેતીના પગલાં વિશે પૂછપરછ કરી હતી. એક સત્તાવાર પ્રકાશન અનુસાર, મુખ્યમંત્રીએ વડા પ્રધાનને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા રાહત અને સાવચેતીના પગલાં વિશે માહિતી આપી. વડા પ્રધાને કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી.
દરિયામાં ગયેલા તમામ માછીમારોને કિનારે પરત લાવવામાં આવ્યા
મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, દરિયામાં ગયેલા તમામ માછીમારોને કિનારે પાછા લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ એનડીઆરએફ, પંચાયત રાજ એન્જિનિયરિંગ ટીમ, માર્ગ અને મકાન અધિકારીઓ અને વીજળી વિભાગના અધિકારીઓને ચક્રવાત પછી જરૂરી કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીએ ચક્રવાત રાહત સાધનોની યાદી અગાઉથી તૈયાર રાખવા જણાવ્યું છે.
ફરજ બજાવવામાં નિષ્ફળ રહેનારાઓ સામે ગંભીર કાર્યવાહીની ચેતવણી
મુખ્યમંત્રીએ સૂચન કર્યું કે અધિકારીઓ લોકોને ચેતવણી આપે અને ચક્રવાત દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપે અને જાનમાલના નુકસાનને રોકવા માટે જરૂરી સાવચેતીનાં પગલાં લે. તેમણે ચક્રવાત દરમિયાન તેમની ફરજો બજાવવામાં નિષ્ફળ રહેનારાઓ સામે ગંભીર કાર્યવાહીની ચેતવણી આપી.
તબીબી ટીમો તેમજ રાહત આશ્રયસ્થાનો સજ્જ
કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથેની ઓનલાઈન બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ કહ્યું કે તબીબી ટીમો કટોકટી સેવાઓ પૂરી પાડવા માટે તૈયાર રહે. મુખ્યમંત્રીએ કહ્યું કે તબીબી શિબિરો તેમજ રાહત આશ્રયસ્થાનોમાં ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવો જોઈએ, અને રાહત શિબિરોમાં રહેતા દરેક પરિવારને રૂ. 3,000 રોકડા, 25 કિલો ચોખા અને અન્ય આવશ્યક વસ્તુઓ આપવી જોઈએ. તેમણે કહ્યું કે પીવાના પાણીની કટોકટીને રોકવા માટે, અધિકારીઓએ ખાતરી કરવી જોઈએ કે પાણીના સ્ત્રોત દૂષિત ન હોય.
મોન્થા બાદ હવે મેલિસા ચક્રવાતની પણ ચેતવણી: ખતરનાક કેટેગરીમાં પહોંચી ગયું
આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે ચક્રવાત મોન્થાના ખતરાની વચ્ચે, કેરેબિયન સમુદ્રમાં રચાયેલું વાવાઝોડું મેલિસા હવે ખૂબ જ ખતરનાક કેટેગરી-5માં પહોંચી ગયું છે. તે હાલ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, જે ભારે વરસાદ, ભારે પવન અને ઊંચા મોજાને કારણે નોંધપાત્ર વિનાશ લાવી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાવાઝોડા વધુ ઝડપથી તીવ્ર બની રહ્યા છે અને ક્યારેક એક જગ્યાએ અટકી પણ જાય છે. આ બધું વૈશ્વિક તાપમાનમાં વધારો થવાને કારણે છે, જેને આબોહવા પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે.
દક્ષિણ મધ્ય રેલ્વેએ 72 ટ્રેનો રદ કરી
ચક્રવાત મોન્થાને ધ્યાનમાં રાખીને, દક્ષિણ મધ્ય રેલ્વેએ 72 ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. ચક્રવાત આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં અસર કરે તેવી શક્યતા છે, તેથી દક્ષિણ મધ્ય રેલ્વે (SCR) એ 28 અને 29 ઓક્ટોબરના રોજ નિર્ધારિત ટ્રેનો રદ કરી છે. 29 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવનની આગાહીને ધ્યાનમાં રાખીને, મુસાફરોને ખૂબ જ જરૂરી હોય તો જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં 30 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી, બચાવ ટીમો તૈનાત
બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થાના ભય વચ્ચે, ભારતીય હવામાન વિભાગએ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 30 ઓક્ટોબર, 2025 દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા વહીવટીતંત્રે આવશ્યક પુરવઠો અને તેલ/ગેસ ભંડારનો સંગ્રહ સુનિશ્ચિત કરવા સહિત અગાઉથી પગલાં લીધાં છે.