અરબી સમુદ્રમાં નોર્થ ઈસ્ટ દિશામાં સર્જાયેલું 'શખતી' નામનું વાવાઝોડું આજે સવારે વધુ મજબૂત બન્યું છે અને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થયું છે. પ્રતિ કલાકના 13 કિલોમીટરની ઝડપે વેસ્ટ દિશામાં ગતિ કરતું આ વાવાઝોડું હજુ બે દિવસ દરિયામાં જ આંટા મારે તેવું લાગે છે. વાવાઝોડાના કારણે દરિયામાં અત્યારે પ્રતિ કલાકના 95 થી 110 કીલોમીટરની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના આજે સવારના બુલેટિનમાં જણાવાયા મુજબ છેલ્લા છ કલાકથી આ વાવાઝોડું પ્રતિ કલાકના 13 કીલોમીટરની ઝડપે વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. અત્યારે તે દ્વારકા અને નલિયા થી 420 કીલોમીટર, પોરબંદર થી 490 કીલોમીટર અને પાકિસ્તાનના કરાચી બંદરથી ૩૯૦ કિલોમીટર દૂર છે.
વાવાઝોડાની આ સિસ્ટમ અને નોર્થ વેસ્ટ ઇન્ડિયાને પ્રભાવિત કરે તેવા આજે રાત્રે ઉદ્ભવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાચલ પ્રદેશ સિક્કિમ બિહાર અને પશ્ચિમ બંગાળમાં અત્યંત ભારે વરસાદની અને તોફાની પવન તથા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવું વાતાવરણ આગામી પાંચ દિવસ સુધી રહેવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત આસામ અરુણાચલ મેઘાલય નાગાલેન્ડ મણીપુર તમિલનાડુ હરિયાણા પંજાબ ચંદીગઢ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારાથી દૂર જતું હોવાના કારણે વરસાદની માત્રા અને વ્યાપમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના માત્ર 32 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં દોઢ ઇંચ પડ્યો છે. સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ જામનગર બોટાદ રાજકોટ કચ્છ અને જુનાગઢ જિલ્લામાં વરસાદ પડ્યો છે. પરંતુ માત્ર ત્રણ તાલુકામાં જ એક ઈંચ અને અન્ય ત્રણ સામાન્ય ઝાપટા પડ્યા છે.