અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યારસુધીમાં 190 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 157 મૃતદેહો પરિવારોને સોંપ્યા

  • June 18, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૧૯૦ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૭ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.


ત્રણ પરિવારોના ઓળખ પુરાવાની પ્રોસેસ ચાલી રહી

મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે પાંચ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૧૦ પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે ૧૫ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે તેમજ ત્રણ પરિવારોના ઓળખ પુરાવાની પ્રોસેસ ચાલી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૫૭ મૃતકોમાં ૧૨૩ ભારતના નાગરિક, ચાર પોર્ટુગલના, ૨૭ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ચાર નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે.


વિશ્વાસકુમારના ભાઈનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યું

વિમાન દુર્ઘટનામાં બચનાર એકમાત્ર પેસેન્જર બચનાર વિશ્વાસકુમાર અંગેની માહિતી આપતા ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે, વિશ્વાસકુમાર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા અને તેમનો પરિવાર પણ અહીં હાજર હતો. તેમના પરિવારે સિવિલમાંથી રજાની પરવાનગી માંગી હતી એટલે ગઈકાલે રાત્રે ૭.૩૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વાસકુમારના ભાઈનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યું પામ્યા હતા અને તેમનો મૃતદેહ પણ રાત્રે બે કલાકે પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.


વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે

તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.


આ શહેરોના મૃતકોના પાર્થિવ દેહો સોંપવામાં આવ્યા

ઉદયપુર ૬, વડોદરા ૧૮, ખેડા ૧૦, અમદાવાદ ૪૮, મહેસાણા ૫, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૧૧, ભરૂચ ૫, સુરત ૬, પાટણ ૧, ગાંધીનગર ૬, મહારાષ્ટ્ર ૨, દીવ ૧૨, જુનાગઢ ૧, અમરેલી ૧, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૧, લંડન ૨, પટના ૧, રાજકોટ ૨, મુંબઈ ૭, નડિયાદ ૧ દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News