જામનગર શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા છે, હજુ પણ કેટલાક સ્થળોએ દબાણ એમને એમ છે, શાસકપક્ષના નગરસેવક અને વોર્ડ નં.૨ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાએ (હકાભાઇ)એ વોર્ડ નં.૨ના કેટલાક દબાણો તાત્કાલીક દુર કરવા અને અમુક કોન્ટ્રાકટરો દ્વારા નાખવામાં આવતું કેરણ બંધ કરાવવાની માંગણી મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નં.૨ ગોલ્ડન સીટી સામેનો વિસ્તાર, જવાહરનગર આવાસની બંને બાજુની વચ્ચેના રોડમાં તેમજ સોનલનગર જતા રસ્તામાં દબાણ થયા હોય, કેટલાક કોન્ટ્રાકટરો દ્વારા કેરણ નાખવામાં આવતું હોય જેનાથી મેઇન રોડ બુરાઇ ગયો છે, તાત્કાલીક ધોરણે સ્થળ પર તપાસ કરાવવાની પણ માંગણી કરી છે અને નગરસેવકે એવું પણ જણાવ્યું છે કે, આ અંગે રજૂઆત કરી હોવા છતાં પણ આ દબાણો દુર કરવામાં આવ્યા નથી, દિવસેને દિવસે આ પ્રકારના દબાણો વધતાં જાય છે, જયાં કેરણ નાખવામાં આવે છે.
તે તાત્કાલીક બંધ કરાવીને મેઇન રોડ ખુલ્લો કરાવવાની પણ માંગણી કરવામાં આવી છે અને આ લોકોના પ્રશ્ર્નો અંગે તેઓએ રાજયમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઇ ખીમસુરીયા, શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારી, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા અને એસ્ટેટ અધિકારીને પણ આ અંગે જાણ કરી છે. આમ શાસક પક્ષના નગરસેવક લોકોના પ્રશ્ર્ને આગબબુલા થયા છે અને મેઇન રોડ ઉપર થઇ રહેલા દબાણને અટકાવવા માંગણી કરી છે.