રાજકોટ શહેરમાં ભક્તિનગર રેલ્વે સ્ટેશનની હદમાં લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે સવારથી રેલવે પોલીસ ફોર્સના બંદોબસ્ત હેઠળ મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં 350 થી જેટલા વધુ ઝુંપડાઓ હટાવવા માટે રેલ્વે દ્વારા મહાનગરપાલિકાના જેસીબીની મદદ લેવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન કેટલાક લોકોએ ઝુંપડા સળગાવવાની કોશિશ કરી હોવાનું જાણવા મળે છે્

શહેરના લક્ષ્મીનગર બિપિન રાવત અંડરબ્રિજ નજીક આવેલા આ વિસ્તારમાં પાંચેક એકર જમીનમાં લાંબા સમયથી રેલવે અને મનપાની જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવતા લોકોના ટોળાઓ એકઠા થઈ ગયા હતા. આ દબાણ દૂર કરવા માટે રેલવેનો એન્જિનિયરિંગ વિભાગ અને મનપાના જેસીબી અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમ્યાન સ્થળ ઉપર કેટલાક લોકોએ ઝૂંપડા સળગાવવાની કોશિશ કરી હોવાનું ધ્યાને આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. ડિમોલિશન દરમિયાન અંદાજે 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવામાં આવશે, જેના પરિણામે લગભગ 5 એકર જેટલી દબાણયુક્ત જમીન ખાલી થશે. 20થી વધુ JCB મશીનો તેમજ 50થી વધુ ટ્રેક્ટરો તૈનાત કરાયા છે.

જેથી ઝડપથી અને અસરકારક રીતે ઝૂંપડાઓને દૂર કરી શકાય. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંદાજે 400થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ દ્વારા વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો અને લોકોમાં શાંતિ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી.