ખંભાળિયા મામલતદાર કચેરી, નગરપાલિકા અને કલેકટર કચેરી ખાતે મતદારો સુવિધા માટે મતદાર સહાયતા કેન્દ્ર કાર્યરત કરાયા
ચૂંટણી પંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ(SIR)ની કામગીરી પ્રગતિમાં છે.

આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો(Enumeration Phase) ચાલી રહ્યો છે. જે અન્વયે બાકી રહેલા મતદારોના ગણતરી ફોર્મ ઝડપથી પરત મેળવી શકાય તે માટે ખાસ કેમ્પ તરીકે મતદાર સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
જેમાં મતદારો પોતાનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં મતદારો સ્થળ પર તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ જે તે કચેરી ખાતે જઈ તેમની વિગતો શોધી શકશે. ગ્રામ્ય વિસ્તારના મતદારો પોતાની લગત ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી / VCE પાસે જઈને ૨૦૦૨ના મતદારયાદીની વિગતો શોધી શકશે.

જેમાં જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે, ૮૧ ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં પ્રાંત કચેરી, ખંભાળિયા, મામલતદાર કચેરી ખંભાળિયા તથા ભાણવડ, તાલુકા પંચાયત ચેરી ખંભાળિયા અને ભાણવડ, નગરપાલિકા કચેરી ખંભાળિયા, ભાણવડ અને સલાયા ખાતે તેમજ ૮૨ દ્વારકા વિધાનસભા વિસ્તારમાં પ્રાંત કચેરી દ્વારકા, મામલતદાર કચેરી દ્વારકા તથા કલ્યાણપુર, તાલુકા પંચાયત કચેરી દ્વારકા તથા કલ્યાણપુર તેમજ નગરપાલિકા કચેરી ઓખા,રાવલ અને દ્વારકા ખાતે મતદારોની સુવિધા માટે મતદાર સહાયતા કેન્દ્ર સવારે ૧૦.૩૦ થી ૬.૧૦ સુધી કાર્યરત કરાયાં છે. જિલ્લાના મતદારોને આ મતદાર સહાયતા કેન્દ્રનો મહત્તમ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.